દબાણ સમયે યુવા બોલર્સ સાથે ધોની હંમેશા તેમની જરૂરિયાતો વિશે વાત કરે છે- રોહિત શર્મા
ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ સોમવારે મહેન્દ્રસિંહ ધોનીની પ્રશંશા કરી હતી. રોહિતે કહ્યું કે અત્યાર સુધી ભારતને જેટલા કેપ્ટન મળ્યા તેમાં ધોની સૌથી ઉમદા છે. એક યુટ્યૂબ ચેનલ પર રોહિતને મેડિટેશન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો કે કૂલ રહેવા માટે તેમના આદર્શ કોણ છે ? તેના પર રોહિતે જવાબ આપ્યો કે આખું ભારત જાણે છે કે ધોની સૌથી કૂલ છે. તે પહેલાથી તેમની અંદર છે. મેદાન પર કૂલ રહેવાના કારણે જ તેઓ સાચા નિર્ણય લઇ શકે છે.
રોહિતે કહ્યું, ‘‘ધોની પાસે ICCની ત્રણેય ટ્રોફી છે. સાથે કેટલાય IPL ટાઇટલ પણ જીત્યા. તેઓ ભારતના અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ કેપ્ટન છે. કોઇ પણ પરિસ્થિતિમાં તેમનું શાંત રહેવું તેની પાછળનું સૌથી મોટું કારણ છે. મેં જોયું છે કે દબાણ સમયે તેઓ યુવા બોલર્સ સાથ વાતચીત કરે છે. તેમની ડોક પાછળ હાથ રાખીને પૂછે છે કે તેમને શું જોઇએ.’’
શાસ્ત્રીએ પ્રશંશામાં કહ્યું હતું- ધોની અમારા સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક
કોચ રવિ શાસ્ત્રીએ પણ ધોનીની પ્રશંશામાં કહ્યું હતું, ‘‘તેઓ અમારા સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક છે. કમબેક પર નિર્ણય તેમને જ કરવાનો છે. વર્લ્ડકપ બાદ તેમની સાથે મુલાકાત થઇ નથી. મને નથી લાગતું કે વર્લ્ડકપ બાદ તેમણે ક્રિકેટ રમી છે. પહેલા તેમને રમવાનું શરૂ કરવું પડશે. તેની જાણકારી સિલેક્ટર્સને આપવી પડશે. ’’
200 વનડેમાં ધોનીએ કેપ્ટન્સી કરી
ધોની ICCની ત્રણેય ટ્રોફી જીતનાર વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે. ભારત માટે તેણે 200 વનડેમાં કેપ્ટન્સી કરી છે. કેપ્ટન તરીકે 2007માં ICC T20 વર્લ્ડકપ, 2011માં ICC ક્રિકેટ વર્લ્ડકપ અને 2013માં ICC ચેમ્પ્યિન્સ ટ્રોફી જીતી હતી. 200 મેચમાં ટીમ ઇન્ડિયાએ 110 મેચ જીતી. 74 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો. 5 મેચ ટાઇ રહી અને 11 મેચનો કોઇ નિર્ણય આવ્યો નહીં. T20માં ધોનીએ 72 મેચમાં કેપ્ટન્સી કરી હતી જેમાં 41માં જીત અને 28 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ ટાઇ રહી હતી જ્યારે બે મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું. ટેસ્ટમાં ધોનીએ 60 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન ટીમ 27 મેચ જીતી હતી. 18 મેચમાં હાર જ્યારે 15 મેચનું પરિણામ ડ્રો રહ્યું હતું.
ધોનીનું કરિયર :
ધોનીએ 90 ટેસ્ટમાં 38.09ની એવરેજથી 6 સદી અને 33 અર્ધસદી સાથે 4876 રન બનાવ્યા. વનડેમાં ધોનીએ 50.57ની એવરેજ, 10 સદી અને 73 અર્ધસદીની મદદથી 10773 રન બનાવ્યા. 98 T20માં 37.60ની એવરેજથી 1617 રન બનાવ્યા. IPLમાં પણ ધોનીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેમાં 190 મેચમાં 42.20ની એવરેજથી 4432 રન બનાવ્યા. આ દરમિયાન ધોનીની સ્ટ્રાઇક રેટ 137.85ની રહી. તેણે 23 અર્ધસદી ફટકારી છે.