• Home
  • News
  • સત્સંગી યુવક-યુવતી લગ્નબંધનમાં બંધાયાં:હનિમૂનને બદલે નવદંપતી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવામાં જોડાયું, એક બેંક કર્મી તો એક છે નર્સ
post

15મી જાન્યુઆરીના રોજ સાંજે મહોત્સવમાં ધામધૂમપૂર્વક ઉજવણી થશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-03 19:11:35

અમદાવાદ: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નિર્માણ પામેલા પ્રમુખસ્વામી નગરની મુલાકાત લેનારાની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે. આ મહોત્સવમાં સેવાકાર્ય માટે હરિભક્તોમાં ભારે પડાપડી થઈ હતી. આ સેવાકાર્યમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે, જેમાંથી કેટલાક તો નોકરી છોડીને સેવા કરવા આવ્યા છે, તો કેટલાકે નોકરી જતી કરી છે. જ્યારે વ્યવસાય કરનારા હરિભક્તો અન્યને ધંધો સોંપીને હરિ ગુરુનો રાજીપો મેળવવા આવી ગયા છે. ત્યાં સુધી કે કેટલાક પરિવારે પોતાનાં સંતાનોના લગ્નની તારીખ પાછી ઠેલી છે તો અમુક લોકો તો લગ્નગ્રંથિથી જોડાયા બાદ હનીમૂન મનાવવાને બદલે સીધા જ સેવામાં જોડાઈ ગયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. તેમાંથી એક કપલે લગ્ન બાદ તરત સેવામાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. તો એક યુવકે લગ્ન પહેલાં જ ગુણભાવિ પત્ની તથા તેનાં સાસરિયાંને લગ્ન બાદ સેવામાં જવાની વાત કરી લીધી હતી. આમ, બાપાની સેવા માટે હરિભક્તોમાં અતિઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે. આવો... જાણીએ નવદંપતી તથા યુવક શું કહે છે?

મહંત સ્વામીનું માર્ગદર્શન માગ્યું તો કહ્યું શતાબ્દી પહેલાં જ લગ્નવિધિ કરી દો
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતાં સૌમિલ કમલેશ મોદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું 35 દિવસની સેવામાં જોડાયો છું. પ્રમુખસ્વામી વિશ્વવંદનીય સંત હતા. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જ્યારે વાત કરીએ ત્યારે બધાને ગુણાનુભાવ થાય છે અને બધા રાજીખુશીથી રજા પણ આપતા હોય છે. મને પણ બેંકમાંથી રજા આપી દેવામાં આવી હતી. મારી સગાઇ એપ્રિલ-2022માં થઇ હતી. પછી અમે વિચારતા હતા કે શતાબ્દી મહોત્સવ પહેલાં લગ્ન વિધિ રાખવી કે પછી રાખવી? પ્રમુખસ્વામી મહારાજ પત્રો દ્વારા માર્ગદર્શન આપતા હતા. એ જ શ્રુંખલામાં મહંત સ્વામી મહારાજને પત્ર લખીને અમે માર્ગદર્શન માગ્યું હતું. મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતાં કહ્યું, શતાબ્દી મહોત્સવ પહેલાં જ લગ્નવિધિ કરી દો. તો જ સજોડે શતાબ્દી મહોત્સવમાં સારામાં સારી સેવા થઈ શકે. મહંત સ્વામીના આશીર્વાદથી 27-11-2022ના રોજ અમે લગ્ન કર્યા હતા. લગ્નવિધિ પછી પૂર્વતૈયારીના રૂપે નગરમાં આવવા-જવાનું તો રહેતું જ હતું, પરંતુ સેવામાં 11 ડિસેમ્બર-2022ના રોજ આવી ગયાં છીએ. મારાં પત્ની પણ સત્સંગી છે અને યોગ્ય તાલીમ કેન્દ્રના સભ્ય પણ રહી ચૂક્યાં છે. અમે લગ્ન પછી સજોડે સેવામાં અહીં જોડાઈ ગયાં છીએ.

જિંદગીભર વસવસો ના રહેવો જોઈએઃ સૌમિલ મોદી
એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે બાપાના આશીર્વાદ આવ્યા હતા કે લગ્નવિધિ સંપૂર્ણ કરી દેવાની છે. ત્યારથી જ અમારું પ્લાનિંગ હતું કે ફરવા તો આપણે ગમે ત્યારે જઈ શકાય છે, પરંતુ શતાબ્દી મહોત્સવ તો 100 વર્ષમાં એકવાર આવતો હોય છે. તો શતાબ્દી મહોત્સવની સેવા ચૂકી ના જવાય અને જિંદગીભર વસવસો રહી ના જાય એ માટે સેવામાં જોડાવાનો નિર્ણય લગ્ન પછી તરત જ અમે લઇ લીધો હતો. હજુ ફરવા જવાનું નક્કી નથી કર્યું. અત્યારે એક જ લક્ષ્ય છે કે શતાબ્દી મહોત્સવમાં સારામાં સારી સેવા કરીને ગુરુ હરિનો રાજીપો મેળવવો છે.

પહેલા ગુરુ હરિનો રાજીપો પછી ફરવા જઈશું: માનસી મોદી
જ્યારે સૌમિલ મોદીનાં ધર્મપત્ની માનસી મોદીએ કહ્યું હતું કે મેં નર્સિંગ કર્યું છે. અત્યારે મારી સેવા મેડિકલ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ નર્સ તરીકે છે. સેવામાં હું 11 ડિસેમ્બર-2022ના રોજ જોડાઈ છું અને 35 દિવસની સેવા છે. એટલે 18-1-2023 સુધી સેવામાં છું. 27-11-2022ના રોજ અમારા મેરેજ થયા હતા. એના 10 દિવસ બાદ અમે બંને જણા સેવામાં જોડાયાં છીએ. બાપાએ કહ્યું હતું કે આ મહોત્સવ એવો છે કે ન ભૂતો, ન ભવિષ્યતિ, એટલે સેવા અમારે અચૂક લેવી હતી. જેથી અમે ફરવા જવાનું પ્લાનિંગ કર્યું નહોતું. સેવા જેટલા દિવસની મળે એ પહેલાં લઈ લઇશું અને બાપાનો રાજીપો પ્રાપ્ત કરીશું. હજુ ફરવા જવાનું વિચાર્યું નથી. શતાબ્દીની સેવા સારી રીતે થઈ જાય અને પહેલા ગુરુ હરિનો રાજીપો પ્રાપ્ત કરી લઇએ પછી ફરવા જઇશું. અમે સત્સંગી હતા ત્યારે અમારો મેળાપ થયો.

પત્નીને લગ્ન પહેલાં જ સેવા અંગે વાત કરી દીધીઃ રોનક ધુમાલે
અમદાવાદમાં જ રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા રોનક બળદેવભાઇ ધુમાલેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મારા લગ્ન 25-11-2022ના રોજ થયા હતા. અહીં હું સેવામાં 13-12-2022થી જોડાયો છું, મારા ધર્મપત્ની ગુણભાવિ છે. લગ્ન પહેલાં જ મેં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવામાં જવા અંગે વાત કરી હતી. તેઓ તૈયાર હતાં. શતાબ્દી મહોત્સવમાં સેવાનું નક્કી હોવાથી ફરવા જવાનું કોઈ પ્લાનિંગ હતું જ નહીં. હું 35 દિવસની સેવામાં છું. સેવા 18-1-2023ના રોજ પૂરી થશે. સેવા પુરી થયા બાદ ફરવા જવા અંગે ચર્ચા કરીને વિચારીશું.

સ્વયંસેવકો જોગ મહંત સ્વામીએ શું આપ્યો સંદેશો ?
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરી રહેલા સ્વયંસેવકો જોગ મહંત સ્વામીએ ઓડિયો મારફત સંદેશો જારી કર્યો છે, જેમાં મહંત સ્વામીએ દરેક સ્વંયસેવક અંગે જણાવ્યું છે કે સ્વયંસેવકો, તમે બધા જોરદાર સેવા કરી રહ્યા છો, ભગવાન આપણી સાથે છે. તમે બધા બળ ને હિંમત રાખીને સેવા કર્યે જજો. તમને બધાને આશીર્વાદ છે કે બધાને ખૂબ બળ ને હિંમત રહે.

15મી જાન્યુઆરીના રોજ સાંજે મહોત્સવમાં ધામધૂમપૂર્વક ઉજવણી થશે
સાધુ યજ્ઞપ્રિયદાસજીએ હરિભક્તોને જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ તા.15-1-2023ના રોજ સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન ધામધૂમથી અમદાવાદ ખાતે ઊજવાશે. તો આપના ક્ષેત્રમાંથી જન્મજયંતીની સભામાં ભાઇ-બેન વગેરે કુલ કેટલા હરિભક્તો આવશે એની સંખ્યા મંડળ સંચાલકો પાસેથી માહિતી મેળવીને 6-1-2023 સુધીમાં જણાવશો, સાથોસાથ 14-1-2023એ નગર દર્શન માટેનો છેલ્લો દિવસ છે. 15-1-2023ના રોજ નગર દર્શન થઈ શકશે નહીં. તમામ હરિભક્તો તથા ગુણભાવિને આની જાણ કરશો.

adv

Related News

post
post
post
post
post
post
post