રાહુલ અને J&Kના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક વચ્ચે થઈ મુલાકાત, ઈન્ટરવ્યૂમાં બંને વચ્ચે વિવિધ મુદ્દે થઈ ચર્ચા
નવી દિલ્હી: આગામી નવેમ્બર ડિસેમ્બરમાં 5 રાજ્યોમાં લોકસભાની સેમિફાઈનલ કહેવાતી વિધાનસભા ચૂંટણીઓ (Assembly Election) યોજાવાની છે, જેનું હાલ ધમધોકાટ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ 2024માં લોકસભા ચૂંટણીઓ (Lok Sabha Election 2024) યોજાવાની છે, જે માટે મોટાભાગના પક્ષોએ અત્યારથી જ યોજનાઓ ઘડવાની શરૂ કરી દીધી છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણીઓ પહેલા ખુબ જ સક્રિય જોવા મળી રહ્યા છે. દરમિયાન રાહુલ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક મુલાકાત થઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને વચ્ચે 28 મિનિટ સુધી થયેલી વાતચીત દરમિયાન મોદી સરકારનો પણ ઉલ્લેખ કરાયો હતો.
રાહુલ અને મલિક વચ્ચે શું વાતચીત થઈ ?
કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી હતી. 28 મિનિટની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ સત્યપાલ મલિકને વિવિધ મુદ્દાઓ ઉપર વાત કરી. વાતચીત દરમિયાન સત્યપાલ મલીકે કહ્યું કે, ‘ચૂંટણીને માત્ર 6 મહિના બાકી છે. હું લખીને આપું છું કે, હવે આ (મોદી સરકાર) નહીં આવે...’
RSSની વિચારાધારા પર શું બોલ્યા મલિક ?
વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ મલિકને પૂછ્યું કે, મને લાગે છે કે, ભારતનું રાજકારણ બે વિચારધારાની લડાઈ છે, એક ગાંધીવાદી અને બીજી RSSની... બંનેના વિઝન હિન્દુત્વ છે... એક અહિંસા અને ભાઈચારાની વિચારધારા છે, બીજી નફરત અને અહિંસાની... આ બાબતે તમારું શું કહેવું છે?
આ સવાલના જવાબમાં સત્યપાલ મલિકે કહ્યું કે, મારું માનવું છે કે, હિન્દુસ્તાન એક દેશ તરીકે ત્યારે જ સર્વાઈવ કરશે, જ્યારે લિબરલ હિન્દુજ્મના રસ્તે ચાલશે... આ ગાંધીનું વિઝન હતું, તેઓ ગામે ગામ ગયા હતા, ત્યારે આ વિઝન સુધી પહોંચ્યા હતા... જો આ વિચારધારા પર દેશ ચાલશે, ત્યારે જ ચાલી શકશે, નહિં તો ટુકડા થઈ જશે... આપણે લડાઈ-ઝગડા કર્યા વગર એક થઈને રહેવું પડશે.
‘લોકોએ ટીવી જોવાનું બંધ કરી દીધું છે, તે સારી વાત’
મલિકે કહ્યું કે, લોકોએ ટીવી જોવાનું બંધ કરી દીધું છે, તે સારી વાત છે. આપણી પાસે સોશિયલ મીડિયાનું માધ્યમ છે, જોકે આ લોકો તેના પર પણ લગામ કસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલે કહ્યું કે, મારા યુટ્યૂબ એકાઉન્ટને દબાવીને રાખ્યું છે. છેલ્લે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે તમારી સાથે વાત કરી, તેથી તમારા પર પણ આક્રમણ થશે. તો મલિકે કહ્યું કે, આનાથી મને કોઈ ફરક પડતો નથી.