શારદા પીઠ એ માર્તંડ સૂર્ય મંદિર અને અમરનાથ મંદિરની સાથે કાશ્મીરી પંડિતો માટેનાં ત્રણ પવિત્ર યાત્રાધામોમાંનું એક છે.
શ્રીનગર: પાકિસ્તાનનો ગેરકાયદે કબજો ધરાવતા કાશ્મીર (પીઓકે)ની એસેમ્બલીના વલણમાં ઘણું
મોટું પરિવર્તન આવ્યું છે. અત્યાર સુધી ભારત વિરોધી અને આતંકવાદના સમર્થનમાં
પ્રસ્તાવ પસાર કરનારી પીઓકે એસેમ્બલીએ શારદા માતા પીઠમાં તીર્થ માટે ભારતથી આવતા
શ્રદ્ધાળુઓ માટે એક કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આ ઘટનાક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એ નિવેદન પછી શરૂ થયો છે,
જેમાં તેમણે કરતારપુર કોરિડોરની તર્જ પર શારદાપીઠ
માટે પણ કોરિડોર બનાવવાની વાત કરી હતી.
આ દરમિયાન સેવ શારદા
કમિટી (એસએસસી)એ પીઓકે એસેમ્બલીના પ્રસ્તાવને આવકારતા કહ્યું છે કે, 75 વર્ષ પછી શારદા માતા
પીઠમાં તીર્થની આશા જાગી છે. તે માટે વર્ષો સુધી કરાતો સંઘર્ષ હવે રંગ લાવી રહ્યો
છે. આ પહેલાં એસએસસીએ 2006માં કેન્દ્ર સરકાર અને પાકિસ્તાન સરકારને શારદા માતા પીઠ માટે કોરિડોર શરૂ
કરવા માટે પત્ર લખ્યા હતા. બીજી તરફ, પીડીપી નેતા અને
કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ કોરિડોરની યોજનાને આવકારી હતી.
પીઓકેના પ્રસ્તાવ અંગે
પાકિસ્તાન નાખુશ| પીઓકે એસેમ્બલીના પ્રસ્તાવ અંગે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. ભારતમાં
પાકિસ્તાનના હાઈ કમિશનર રહેલા અબ્દુલ બાસિતનું કહેવું છે કે, શારદા માતા પીઠ કોરિડોર
બનવો શક્ય નથી. કરતારપુર કોરિડોર આંતરરાષ્ટ્રીય સરહદ, જ્યારે શારદા પીઠ અંકુશ
રેખા પર છે. એસએસસીના વડા રવીન્દ્ર પંડિતાએ બાસિતના નિવેદનની ટીકા કરી છે.
40 કિ.મી. લાંબો હશે શારદા
કોરિડોર | પ્રસ્તાવિત શારદા માતા પીઠ માટે કોરિડોર આશરે 40 કિ.મી. લાંબી હશે. તે
અંકુશ રેખા પર કાશ્મીરના કુપવાડા જિલ્લાથી શરૂ થશે. શારદા પીઠ જવા માટે
શ્રદ્ધાળુઓએ નારદ, સરસ્વતી અને નારિલ સરોવરને પાર કરવા પડશે. હાલ પીઓકેમાં નીલમ નદી કિનારે
બનેલું શારદા પીઠ મંદિર જર્જરિત સ્થિતિમાં છે.
37 અન્ય ધર્મસ્થળ માટે પણ
માર્ગ ખૂલશે
પીઓકેમાં હિન્દુ અને શીખોનાં 37 ધર્મસ્થળ છે. અહીં
શ્રદ્ધાળુઓને મંજૂરી આપવાની માગ કરાઈ રહી છે. હાલમાં જ એલઓસી નજીક ટીટવાલમાં શારદા
માતા મંદિર અને નજીકમાં બનેલા ગુરુદ્વારાને શ્રદ્ધાળુઓ માટે ખોલાયાં હતાં. 1947માં પાકિસ્તાની કબાઈલી
હુમલામાં મંદિર અને ગુરુદ્વારાને નુકસાન થયું હતું.
અહીં દેવી સતીનો જમણો
હાથ પડ્યો હતો
શારદા પીઠ એ હિન્દુ મંદિર હતું જે હાલમાં ખંડેર જેવું છે. તે POK ભારતની નીલમ ખીણમાં સ્થિત છે. 6ઠ્ઠી અને 12મી સદીની વચ્ચે, તે ભારતીય ઉપખંડમાં સૌથી પ્રખ્યાત મંદિર યુનિવર્સિટીઓમાંની એક હતી. ખાસ કરીને તેની લાઇબ્રેરી સમૃદ્ધ હતી. તેનું વર્ણન વિદ્વાનો કરી ચૂક્યા છે. તેણે ઉત્તર ભારતમાં શારદા લિપિના વિકાસ અને લોકપ્રિયતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે લિપિનું નામ તેના નામ પરથી રાખવામાં આવ્યું હતું અને કાશ્મીરને "શારદા દેશ" એટલે કે "શારદાનો દેશ" નામ આપવામાં આવ્યું હતું. હિન્દુઓ માને છે કે તે દેવી સતીનો જમણો હાથ અહીં પડ્યો હતો. શારદા પીઠ એ માર્તંડ સૂર્ય મંદિર અને અમરનાથ મંદિરની સાથે કાશ્મીરી પંડિતો માટેનાં ત્રણ પવિત્ર યાત્રાધામોમાંનું એક છે.