આશાપુરા માનાં દર્શન કરતાં જાડેજા દંપતીની તસવીરો રીવાબા જાડેજાએ ટ્વીટ કરી કરીને શેર કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમના
ઓલ રાઉન્ડર ખેલાડી રવીન્દ્રસિંહ જાડેજા તેમજ તેમનાં ધર્મપત્ની અને જામનગર ઉત્તર
વિધાનસભાનાં ધારાસભ્ય રીવાબા જાડેજા આજે વહેલી સવારે કચ્છના માતાના મઢ સ્થિત મા
આશાપુરાનાં દર્શને પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે માનાં
ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. માતાના મઢ સ્થાનકે આવેલાં જાડેજા દંપતીએ સર્વે લોકોની
સુખાકારી માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી.
સામાન્ય ભાવિકની જેમ
દર્શન કર્યાં
ઉલ્લેખીય છે કે આઈપીએલ સીઝન દરમિયાન સારા દેખાવ બાદ ફાઈનલ મેચની જીતમાં
મહત્ત્વનો ભાગ ભજવનાર રવીન્દ્ર જાડેજા ગત વર્ષે પણ માતાના મઢ ખાતે મા આશાપુરાનાં
દર્શને આવ્યા હતા અને આજે ફરી એક વખત તેઓ માતાજીના મઢે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સામાન્ય
ભાવિકની જેમ અન્ય લોકો સાથે દર્શન કર્યા હતા.
વિશેષ આવકાર સાથે સત્કાર કરાયો
ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલ રાઉન્ડર ક્રિકેટ ખેલાડી
તરીકે જાણીતા રવીન્દ્ર સિંહ જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા ધારાસભ્ય છે. જાડેજા
દંપતી સમયાંતરે પોતાના કુળદેવી મા આશાપુરા દર્શન કરવા માટે આવી પોતાની શ્રદ્ધા પ્રગટ
કરતું રહે છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ અને પૂજારી સિદ્ધરાજસિંહ ચૌહાણ દ્વારા તેમને
વિશેષ આવકાર સાથે સત્કાર કરવામાં આવ્યો હતો. આશાપુરા માનાં દર્શન કરતાં જાડેજા
દંપતીની તસવીરો રીવાબા જાડેજાએ ટ્વીટ કરી કરીને શેર કરી છે.
જાડેજાએ ઘોડેસવારીની તસવીરો પણ શેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે જાડેજાને વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ
અને વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ પરિવાર
સાથે સમય વિતાવી રહ્યા છે. જાડેજાને ઘોડાઓ ખૂબ પસંદ છે અને તેઓ પોતાના
ફાર્મહાઉસમાં ઘોડેસવારી કરે છે. થોડા દિવસો પહેલાં જાડેજાએ ફાર્મહાઉસમાં
ઘોડેસવારીની તસવીરો શેર કરી હતી.