• Home
  • News
  • બેદરકારીનું પરિણામ? કોરોના સંક્રમણના કેસ વધ્યા, 24 કલાકમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા
post

દેશમાં કોરોના (Corona) ની બીજી લહેર ભલે નબળી પડી ગઈ હોય પરંતુ હજુ પણ સાવધાની વર્તવાની જરૂર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-14 10:48:44

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) ની બીજી લહેર ભલે નબળી પડી ગઈ હોય પરંતુ હજુ પણ સાવધાની વર્તવાની જરૂર છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 41 હજાર લોકો રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાએ 624 લોકોનો ભોગ લીધો છે.

એક દિવસમાં કોરોનાના 38 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,792 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 3,09,46,074 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં કોરોનાથી 41,000 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,01,04,720 થઈ છે. હાલ જો કે હજુ પણ દેશમાં 4,29,946 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં હાલ ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 38,76,97,935 ડોઝ અપાયા છે જેમાંથી 37,14,441 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

24 કલાકમાં 624 દર્દીઓના મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 624 દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,11,408 પર પહોંચી ગયો છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડામાં કોરોનાથી થયેલા એક દિવસના મૃત્યુનો આંકડો ચોંકાવનારી રીતે વધી ગયો હતો જો કે ત્યારબાદ અચાનક વધી ગયેલા મૃત્યુ પાછળનું કારણ પણ સામે આવ્યું હતું. 

અચાનક મોતની સંખ્યા વધવા પાછળનું આ હતું કારણ
ગઈ કાલે આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક દિવસમાં કોરોનાના 31,443 નવા દર્દીઓ નોંધાયા હતા અને 2020 દર્દીઓના મૃત્યુ થયા હતા. આમ એક દિવસમાં થયેલા મૃત્યુનો આંકડો અચાનક વધી જતા હડકંપ મચી ગયો હતો. મોતનું કારણ વધવા પાછળ મધ્ય પ્રદેશ હતું. રોજ હજારથી ઓછા મૃત્યુ નોંધાતા હતા અને અચાનક 2 હજાર ઉપર મૃત્યુ નોંધાતા ચિંતા વધી ગઈ હતી. પણ હવે તેનું કારણ સ્પષ્ટ થયું. મધ્ય પ્રદેશે અનેક દિવસોના મોતનો આંકડો એક સાથે બહાર પાડ્યો હતો. ગઈ કાલે મધ્ય પ્રદેશના એક દિવસના મોતના આંકડાની ગણતરી 1481 બતાવવામાં આવી હતી જે છેલ્લા કેટલાક દિવસના ડેટાને એડજસ્ટ કરીને જણાવાયો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 146 અને કેરળમાં 100 લોકોના મોતના આંકડા મળીને કુલ મોતનો આંકડો 2020 પર પહોંચ્યો હતો. 

19 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના 19,15,501 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટિંગની સંખ્યા હવે 43,59,73,639 પર પહોંચી ગઈ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post