• Home
  • News
  • ડોક્ટરીના ત્રીજા વર્ષમાં ભણતી સુરતની યુવતીને લાગ્યો ભણવાનો ડર કે બીજા કારણથી ફાંસો ખાધો?
post

માનસિક તણાવને લીધે અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-20 17:17:43

સુરત : સુરતમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે જહાંગીરપુરા વિસ્તારની તબીબી વિદ્યાર્થિનીએ ગેમ ઓવર લખેલી ટી-શર્ટ પહેરી ઘરમાં ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કિમમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીને એટીકેટી આવી હોઈ, તણાવ અનુભવતી હતી. એને લીધે તેણે આપઘાત કરી લીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. દીકરી ડોક્ટર બને એ પહેલાં જ જિંદગીનો અંત આણી દેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ઘરમાં જ જીવન ટૂંકાવ્યું
બનાવ અંગે મળતી માહિતી મુજબ, જહાંગીરપુરા સ્થિત પટેલ નગરમાં રહેતી જાનવીબેન દિલીપભાઇ પટેલ (ઉં.વ.20) કિમ ખાતેના અણીતા ગામમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન સોમવારે બપોરે જાનવીબેને ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બહારથી આવેલા પરિવારના સભ્યો જાનવીબેનને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હેબતાઇ ગયા હતા. તેમણે જાનવીબેનને તાબડતોબ નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે તબીબી સારવાર કારગત નીવડે એ પહેલાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પુત્રીને તબીબોએ મૃત ઘોષિત કરતાં પરિવારના સભ્યોએ હૈયાફાટ કલ્પાંત કર્યો હતો.

સોમવારે જ કોલેજની ફી ભરી હતી
સંબંધીઓએ જણાવ્યું હતું કે જાનવીબેન કોલેજથી અપડાઉન કરતી હતી. સોમવારે જ તેની કોલેજની ફી ભરવામાં આવી હતી. અભ્યાસનું ટેન્શન હતું. બીજી બાજુ બનાવની તપાસકર્તા જહાંગીરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે જાનવીબેનના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન તેનો તાજેતરમાં એટીકેટી આવી હોવાનું અને એને લીધે તણાવ અનુભવતી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવાર શોકમાં ગરક
માનસિક તણાવને લીધે અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઈ રહી છે. મૃતક જાનવીબેનના પિતા દિલીપભાઇ પાલિકામાં ડેપ્યુટી ઇજનેર તો માતા શિક્ષિકા છે, જ્યારે ભાઇ પાલિકાના વેક્સિનેશન વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જાનવીબેનના અણધાર્યા પગલાથી પરિવારમાં શોકનો કાલીમાં છવાઈ ગઈ છે.

સુરતમાં છેલ્લા 19 દિવસમાં 29નાં આપઘાત
સુરત શહેરમાં ડિસેમ્બરના 19 દિવસમાં 29 લોકોએ આપઘાત કર્યો છે, જેમાં કિશોરી-કિશોરીઓથી લઈને યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. નવાગામમાં ટેમ્પાચાલકે મકાનના હપતા ભરવાના ટેન્શન, ખજોદ ડાયમંડ બુર્સમાં એક શ્રમજીવી, અડાજણમાં એકલવાયા જીવનથી કંટાળી યુવક, પાંડેસરામાં ઓટોપાર્ટસના વેપારીની પત્ની, કતારગામમાં યુવક, કતારગામ જીઆઈડીસીમાં યુવક, લસકાણામાં યુવક, સચિનમાં યુવાન, કાપોદ્રામાં યુવક સાથે પત્ની તરીકે રહેતી 17 વર્ષીય કિશોરી, છૂટાછેડા બાદ બીજા લગ્નથી પિતા નારાજ થતાં પરિણીતાએ આપઘાત કરી લીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post