આમ આદમી પાર્ટી દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે CBI અને EDની કાર્યવાહીને રાજનીતિથી પ્રેરિત બતાવી રહી છે
Delhi Excise Policy Cases: દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય એજન્સી CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલોએ કોર્ટને કહ્યું કે, આમ આદમી પાર્ટીને આરોપી બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
સુનાવણી દરમિયાન જજોએ EDને પૂછ્યું કે, નિચલી અદાલતમાં સિસોદિયા વિરુદ્ધ આરોપ ઘડવાની પ્રક્રિયા હજુ સુધી શરૂ કેમ નથી થઈ? કોર્ટનું કહેવું હતું કે, કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખવું ખોટુ છે.
એજન્સીના વકીલે શું કહ્યું?
બંને તપાસ એજન્સીઓ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેંચને કહ્યું કે, તેમણે રાજ્યને નિર્દેશ આપ્યો છે કે, એજન્સીઓ આમ આદમી પાર્ટીને આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે. જોકે, બેન્ચે એસ વી રાજુને આવતી કાલે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે કે, શું CBI અને ED દ્વારા તપાસ કરાયેલા કેસોમાં AAP વિરુદ્ધ અલગ-અલગ આરોપો હશે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓ સંજય સિંહ અને મનીષ સિસોદિયા સહિત અનેક લોકોની ED અને CBIએ ધરપકડ કરી છે.