બંને દેશોની સેનાઓ વચ્ચે 11 કલાક ચાલેલી કોર કમાન્ડર સ્તરની બેઠકમાં સંમતિ સધાઈ
નવી દિલ્હી: ભારત અને ચીનની સેનાઓ
પૂર્વ લદાખમાં અથડામણવાળાં ક્ષેત્રોથી પીછેહઠ કરવા સંમત થઈ ચૂકી છે. બંને
પક્ષો વચ્ચે સોમવારે આશરે 11
કલાક
ચાલેલી કોર કમાન્ડર સ્તરની મંત્રણામાં આ સંમતિ સધાઈ. સરકારી સૂત્રોએ જણાવ્યું કે
બેઠક સૌહાર્દપૂર્ણ,
સકારાત્મક
અને રચનાત્મક માહોલમાં થઈ હતી. તેમાં નક્કી થયું કે પૂર્વ લદાખમાં બંને પક્ષ
સેનાની પીછેહઠ કરાવશે.
ભદોરિયાએ લેહની મુલાકાત લીધી
ચીનના
વિદેશ મંત્રાલયે પણ કહ્યું કે બંને દેશ વાતચીતના માધ્યમથી સરહદે શાંતિ કાયમ કરવા
તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને કહ્યું કે શાંતિ બહાલી માટે તમામ
જરૂરી પગલાં ભરી બંને પક્ષ મળીને કામ કરશે. આ દરમિયાન મંગળવારે બપોર પછી સેના
પ્રમુખ જનરલ એમ.એમ.નરવણે પૂર્વ લદાખની બે દિવસની મુલાકાતે લેહ પહોંચ્યા હતા.
ચીન સેના સાથેની અથડામણ બાદ એરફોર્સ ચીફ આર.કે.એસ.ભદોરિયા પણ લેહની મુલાકાત લઈ
ચૂક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનમાં સૈનિકો વચ્ચે ગયા સપ્તાહે
લોહિયાળ જંગ ખેલાયો હતો. તેમાં બંને પક્ષે મોટા પ્રમાણમાં ખુવારી થવા પામી હતી.
આર્મી ચીફ ગલવાન ખીણની
અથડામણમાં ઘાયલ જવાનોને મળ્યા
લેહ
પહોંચેલા સેના પ્રમુખ જનરલ એમ.એમ.નવરણેએ ગલવાન ખીણની અથડામણમાં ઘાયલ જવાનો સાથે
મુલાકાત કરી હતી. તેમણે સૈનિકો સાથે 15 જૂનની રાત્રિની ઘટના વિશે પણ
વાતચીત કરી હતી. તેના પછી તે સરહદે તહેનાત વરિષ્ઠ અધિકારીઓને મળ્યા. ચીનની સેના
સાથે સોમવારે થયેલી કોર કમાન્ડર સ્તરની મંત્રણા વિશે પણ તેમણે માહિતી મેળવી હતી.
આર્મી ચીફ બે દિવસ એલએસીની સ્થિતિનું આકલન કરશે.
અગાઉ ચીન 30 દિવસમાં રાજી થયું હતું, પરંતુ 7 દિવસમાં ફેરવી તોળ્યું
ચીન
તેના સૈનિકોને પાછા બોલાવશે કે નહીં તે અંગે શંકા છે. આ પહેલી વાર નથી જ્યારે ચીન
સૈનિકોને પાછા બોલવવા માટે રાજી થયું હોય. તે અગાઉ પણ બોલીને પાછળથી ફરી ગયું છે. 5-6 મેના જ્યારે પૂર્વી
લદ્દાખના પેંગૌંગ સરોવરના ફિંગર-5 વિસ્તારમાં ચીન અને ભારતના સૈનિકો સામસામે આવી ગયા
હતા ત્યારથી ચીનના સૈનિકો ગલવાન ઘાટીના પેટ્રોલ પોઇન્ટ 14 પર જમા થયા હતા.
વિવાદના 30
દિવસ
બાદ 6 જૂને મોલ્ડોમાં જ ભારત
અને ચીન વચ્ચે લેફ્ટનન્ટ જનરલ લેવલની વાતચીત થઇ હતી. ત્યારે ચીન પેટ્રોલ પોઇન્ટ 14 પરથી જવાનોને હટાવવા
અંગે રાજી થઇ ગયુ હતું. તેણે કેમ્પ હટાવી લીધા હતા. ત્યાં બિહાર ઇન્ફન્ટ્રી
રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબૂ આ મામલે નજર રાખી રહ્યા હતા
અને ચીન સાથે વાતચીત કરી રહ્યા હતા. હજુ 8 દિવસ થયા હતા અને ચીને અચાનક તેના કેમ્પ ફરી બનાવી
દીધા હતા. જ્યારે કર્નલ સંતોષ બાબૂ 15 જૂનની સાંજે 40 જવાનો સાથે વાતચીત કરવા
પહોંચ્યા ત્યારે લગભગ 300
ચીનના
સૈનિકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં કર્નલ સંતોષ બાબૂ સહિત 20 ભારતીય જવાન શહીદ થયા
હતા.
ડોકલામમાં 73 દિવસ લગાવ્યા હતા
16 જૂને
2017માં ડોકલામ વિવાદ શરૂ
થયો હતો. ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને રોડ બનાવતા અટકાવ્યા હતા. ચીનનો દાવો હતો
કે તેઓ તેમના વિસ્તારમાં રોડ બનાવે છે . ભારતમાં આ વિસ્તારનું નામ ડોકા લા છે
જ્યારે ભૂટાનમાં તેને ડોકલામ કહેવામાં આવે છે. ચીને ત્યારે ડોકલામથી પાછળ હટવા 73 દિવસ લગાવ્યા હતા. 28 ઓગસ્ટ 2017ના ચીન પાછળ હટવા રાજી
થયું હતું અને સૈનિક હટાવી લીધા હતા. ત્યારબાદ ત્યાં વિવાદ નથી થયો.