ગયા વર્ષે 2.4 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું, આ વર્ષે 2.15 લાખ કરોડનું કદ રહેવાની શક્યતા
ગાંધીનગરઃ બુધવારથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. તમામ વર્ગને ખુશ કરવાના પ્રયત્નોના પગલે બજેટમાં કોઇ ખાસ વેરાકીય ભારણ રહેવાની શક્યતા નહીંવત્ છે. બીજીતરફ આવકમાં ધરખમ ઘટાડાને કારણે યોજનાકીય ખર્ચમાં પણ અસર પડી શકે છે. આ વખતે બજેટનું કદ સવા બે લાખ કરોડ જેટલું રહેવાની શક્યતા છે. ગત વર્ષે 2.04 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું.
જીએસટીના અમલીકરણ બાદ
સરકારની આવકમાં ધરખમ ઘટાડો એ ચિંતાનો વિષય બન્યો છે. સરકારે રાખેલા લક્ષ્યાંક સામે
એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં 12 હજાર કરોડ જેટલી આવક ઓછી થઇ છે. સરકારે એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં 40,610 કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે
માત્ર 36,298
કરોડની આવક થઇ હતી.
કેન્દ્ર સરકાર પાસેથી જીએસટીનું મળવાપાત્ર વળતર 12,841 કરોડ હતું જેની સામે કેન્દ્રએ માત્ર 8,529 કરોડ રૂપિયા જ આપ્યા છે.
બીજીતરફ વેટની આવકમાં
ગત વર્ષની સરખામણીએ 5
ટકાનો ઘટાડો થયો છે. ગત
વર્ષે વેટની આવક 18,500
કરોડ હતી જ્યારે ચાલુ
વર્ષે 17,607
કરોડની જ આવક થઇ છે. આ
વર્ષે પાલિકા- પંચાયતોની ચૂંટણી હોવાથી સરકાર તમામ વર્ગને ખુશ રાખવા પ્રયાસો કરે
તેવી શક્યતા છે.
ભાજપ અને કોંગ્રેસે રણનીતિ નક્કી કરી
વિધાનસભા સત્રને લઇને
મંગળવારે ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના ધારાસભ્યોની બેઠક યોજીને રણનીતિ નક્કી કરી
હતી. કોંગ્રેસ સરકારને ખેડૂતલક્ષી, રોજગારી અને વિવિધ ભરતી કૌભાંડના મુદ્દે ઘેરવાના પ્રયાસ કરશે.
22 દિવસના બજેટ સત્રમાં 25 બેઠકો મળશે
બુધવારથી શરૂ થઇ રહેલું
વિધાનસભાનું સત્ર 31
માર્ચ સુધી એટલે કે 22 કામકાજના દિવસ સુધી ચાલશે. એ દરમિયાન 25 જેટલી બેઠકો મળશે. બજેટના બીજા દિવસથી
રાજ્યપાલના પ્રસ્તાવ પર ચર્ચા થશે. સત્ર દરમિયાન 10 જેટલા વિધેયક રજૂ થશે.