એકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્યો સાથે સુરત આવી જતાં હોટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે
મહારાષ્ટ્રની રાજનીતિમાં 'ખજૂરાહોકાંડ' સર્જાયું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ
શિંદે સહિત 11 ધારાસભ્ય સોમવારની સાંજથી
સંપર્કવિહોણા બન્યા હતા. તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં
રોકાયા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે
કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સોમવાર સાંજે જ યોગ દિવસના
પોતાના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા હતા. નારાજ ધારાસભ્યોને લઈને
શિવસેનામાં સ્થિતિ વણસતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી
છે.
રાજકીય ઊથલપાથલનાં એંધાણ
મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં
નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની
ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમ્મસ મેરિડિયન
હોટલ ખાતે 11 જેટલા નારાજ શિવસેનાના
ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી
ઊથલપાથલ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.
પાટીલે
કાર્યક્રમમાં જવાનું રદ કર્યું
મહત્ત્વની બાબત એ છે કે આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિશ્વ
યોગ દિવસના તમામ કાર્યક્રમોમાં જોવાનું રદ કરી દીધું હોવાનું ગઈકાલે રાત્રે જ
જાણવા મળ્યું હતું. વિશ્વ યોગ દિવસના સી.આર.પાટીલના તમામ કાર્યક્રમ રદ કરવા પાછળ
શિવસેના નારાજ ધારાસભ્ય સાથેની મુલાકાત પણ હોય શકે છે. સી.આર.પાટીલ પોતે મરાઠી છે.
તેઓ મુંબઈના શિવસેનાના ધારાસભ્યો સાથે ખૂબ સારી રીતે સંપર્કમાં છે. દેવેન્દ્ર
ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા આ ગુપ્ત રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના
તરફેણમાં લાવવા માટેનો પ્રયાસ શરૂ કરાયો હોય એ પ્રકારની ચર્ચા ચાલી રહી છે.
શિવસેનાના ધારાસભ્ય હાલ તેમના જ પક્ષના નેતાઓથી નારાજ હોય એવી ચર્ચા વહેતી થઈ છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ
શિવસેના નારાજ ધારાસભ્યોને ભાજપ તરફેણમાં લાવવા માટે
દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હોવાનું સામે આવી
રહ્યું છે. મુંબઈના તમામ શિવસેનાના ધારાસભ્ય અને સુરતમાં રોકાણ કરવામાં આવ્યું
હતું. આજે તેઓ ભાજપ સાથે મળીને કોઈ મોટી જાહેરાત કરી શકે એવી પણ શક્યતા નકારી શકાય
એમ નથી. મોટી રાજકીય હિલચાલને કારણે સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે જ વિશ્વ યોગા
દિવસના કાર્યક્રમમાં જવાનું રદ કર્યાનો મેસેજ મીડિયામાં આપી દેવાયો હતો. આ રાજકીય
ઊથલપાથલને કારણે તેઓ અહીં વ્યસ્ત હોવાને કારણે યોગ દિવસમાં હાજરી આપી ન શક્યા હોય
એવું પ્રબળપણે શક્યતા છે. હવે આ નારાજ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી કયા
પ્રકારની ગોઠવણ કરે છે એના પર સૌ કોઈની નજર છે. જો આ નારાજ
ધારાસભ્ય શિવસેનાના ભારતીય જનતા પાર્ટી સાથે આવવા તૈયાર થાય તો મહારાષ્ટ્ર અને
રાજનીતિમાં ભૂકંપ આવી શકે છે.
સતત થઈ રહેલી ઉપેક્ષાથી
શિંદે નારાજ
શિવસેનામાં સતત થઈ રહેલી ઉપેક્ષાથી કદાવર મંત્રી એકનાથ શિંદે નારાજ છે. તેઓ
ગઈકાલ સાંજથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન પણ ઉઠાવતા નથી.
એનસીપી અધ્યક્ષ ઉદ્ધવને
મળ્યા, સંજય રાઉતનો દિલ્હી પ્રવાસ સ્થગિત
રાજકીય ઉથલપાથલના પગલે એનસીપી મહારાષ્ટ્રના અધ્યક્ષ જયંત પાટિલે ઉદ્ધવ ઠાકરે
સાથે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે દિલ્હી પ્રવાસ રદ્દ
કર્યો છે. તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે શરદ પવારના નિવાસ સ્થાને યોજાનાર
બેઠકમાં ભાગ લેવા જવાના હતા.
રાજ્યસભા અને
વિધાનપરિષદની ચૂંટણી પછી નારાજ છે
જ્યારે 2019ની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું ત્યારે શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા
બનાવાયા હતા. તેઓ બાળ ઠાકરે સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. થોડા સમય પહેલા
મહારાષ્ટ્રમાં રાજ્યસભા અને વિધાનપરિષદની ચૂંટણીમાં શિવસેનાએ તેમને સાઈડલાઈન કર્યા
હતા. ત્યાર પછી તેઓ નારાજ છે.
તો મહારાષ્ટ્ર સરકાર
પડી જશે
મહારાષ્ટ્રમાં જો 13 ધારાસભ્યો બળવો કરશે તો સરકાર પડી જશે. વાસ્તવમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેને 153 ધારાસભ્યોનું સમર્થન
મળ્યુ છે. સરકાર બનાવવા માટે 144 ધારાસભ્યો જોઈએ.કારણ કે હાલમાં એક બેઠક ખાલી છે. જો
શિવસેનામાં ભાગલા પડશે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પક્ષ બદલી શકે છે.