• Home
  • News
  • દૂધસાગર ડેરીમાં 15 વર્ષે સત્તાપલટો:વિપુલ ચૌધરી હાર્યા, હવે અશોક જ ‘દૂધ’ સમ્રાટ, અશોક ચૌધરીની પેનલના 13 અને વિપુલ ચૌધરીની પેનલના માત્ર 2 ઉમેદવારો જીત્યા
post

પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ખેરાલુ બેઠક પર સરદાર ચૌધરી સામે 13 મતે હાર, સમ ખાવા પૂરતી વિજાપુરની બે બેઠકો મળી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 10:25:00

5,800 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી મહેસાણાની દૂધસાગર ડેરીમાં 15 વર્ષ બાદ વિપુલ ચૌધરીના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. મંગળવારે રાત્રે જાહેર થયેલા ચૂંટણીના પરિણામોમાં 15 બેઠકો પૈકી માત્ર વિજાપુરની બે બેઠકોને બાદ કરતાં બાકીની તમામ 13 બેઠકો પર અશોક ચૌધરી જૂથની પરિવર્તન પેનલનો વિજય થયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, વિપુલ ચૌધરી ખુલ ખેરાલુ બેઠક પરથી 13 મતે હાર્યા છે.

જ્યારે કલોલ-ગોઝારિયા બેઠક પર બે ઉમેદવારો વચ્ચે ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા હતા, જેમાં પણ પરિવર્તન પેનલનાં જબુબેન ઠાકોરનો વિજય થયો હતો. ચૂંટણીમાં અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો કડી, કલોલ, ખેરાલુ, ચાણસ્મા, પાટણ ,મહેસાણા, માણસા, વિસનગર તેમજ સમી-હારિજ અને સિદ્ધપુર- ઊંઝા બેઠક અને વિભાગ-2માં ખેરાલુ-વડનગર-સતલાસણા, માણસા અને વિસનગર બેઠક પર વિજય થયો છે. ભવ્ય વિજય બાદ ડેરીના ચેરમેનપદે મહેસાણાના અશોક ચૌધરી જ સત્તાનું સુકાન સંભાળશે તેવા સ્પષ્ટ સંકેતો સહકારી સૂત્રોએ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ થયેલા મતદાનમાં 1129 પૈકી 1119 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 99.11 ટકા મતદાન થયું હતું. જેલમાં બંધ વિપુલ ચૌધરી સહિત 10 ઉમેદવારો મતદાન કર્યું ન હતું. ડેરીમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરી હાલ જેલમાં છે. પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર પણ હાજર નથી. એવામાં સુકાની વગર વિપુલભાઇના નામે સમર્થકો ચૂંટણી લડતા હતા. તો સામે અશોક ચાૈધરીને સરકારનું ખુલ્લુ સમર્થન હતું.

વિજેતા બન્યા બાદ ચેરમેન પદના દાવેદાર અશોક ચૌધરીએ કહ્યું.... રાજ્યની અન્ય ડેરીઓની જેમ મહેસાણા ડેરીના પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળી રહે તેવા પ્રયાસોને પ્રાથમિકતા આપીશું

દૂધસાગર ડેરીની 15 બેઠકોના પરિણામ પર નજર, અશોક ચૌધરી જૂથના 13 વિજેતા ઉમેદવારો (પરિવર્તન પેનલ)

વિભાગ-1 : બેઠક

વિજેતા ઉમેદવારનું નામ

મળેલા મત

સરસાઇ

1. કડી

જશીબેન રાજાભાઇ દેસાઇ

53 મત

04 મત

2. કલોલ-ગોઝારિયા

જબુબેન મનુજી ઠાકોર ચિઠ્ઠી વિજેતા

49 મત

0

3. ખેરાલુ-વડનગર-સત.

સરદારભાઇ શામળભાઇ ચૌધરી

62 મત

13 મત

4. ચાણસ્મા-બહુચરાજી

અમરતભાઇ માધાભાઇ દેસાઇ

52 મત

11 મત

5. પાટણ-વાગડોદ

રમેશભાઇ મગનભાઇ રબારી

76 મત

49 મત

6. મહેસાણા

અશોકકુમાર ભાવસંગભાઇ ચૌધરી

82 મત

59 મત

7. માણસા

યોગેશભાઇ ગોવિંદભાઇ પટેલ

63 મત

31 મત

8. વિસનગર

લક્ષ્મણભાઇ કાશીરામભાઇ પટેલ

59 મત

21 મત

9. સમી-હારિજ

શક્તાભાઇ મયાભાઇ ભરવાડ

66 મત

36 મત

10. સિદ્ધપુર-ઊંઝા

રમીલાબેન રણજીતસિંહ ઠાકોર

74 મત

45 મત

વિભાગ-2

11.ખેરાલુ-વડનગર-સત.

માનસિંગભાઇ પુંજાભાઇ ચૌધરી

60 મત

08 મત

12.માણસા

કનુભાઇ ડાહ્યાભાઇ ચૌધરી

71 મત

47 મત

13.વિસનગર

દિલીપકુમાર સગરામભાઇ ચૌધરી

58 મત

19 મત

વિપુલ ચૌધરી જૂથના 2 વિજેતા ઉમેદવાર (વિકાસ પેનલ)

14. વિજાપુર

દશરથલાલ શાન્તિલાલ જોશી

60 મત

11 મત

15. વિજાપુર

કમલેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ

58 મત

07 મત

15 બેઠક પર 41 ઉમેદવારો વચ્ચે ચૂંટણી : 99.11 ટકા મતદાન

દૂધસાગર ડેરીની 15 બેઠક પર 41 ઉમેદવારો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં મંગળવારે મહેસાણાના સાર્વજનિક શૈક્ષિણક સંકુલમાં મતદાન યોજાયું હતું. જેમાં 1129 મંડળી પ્રતિનિધિ મતદારો પૈકી 1119એ મતાધિકારનો ઉપયોગ કરતાં 99.11 ટકા મતદાન થયું હતું. સાંજે 6-30 વાગે કડી બેઠકથી મત ગણતરીની શરૂઆત કરાઇ હતી. એક પછી એક બેઠકના પરિણામોમાં અશોકભાઇ જૂથની પરિવર્તન પેનલના ઉમેદવાર મળી 13 વિજેતા થયા હતા અને બહાર સમર્થકો આતશબાજી, ઢોલના તાલે જોશમાં આવ્યા હતા. વિજાપુરની ગણતરી આવતા વિપુલ ચૌધરી જૂથની બે બેઠક પર જીત થઇ હતી.ચૂંટણી અધિકારી સી.સી. પટેલે સત્તાવાર પરિણામ જાહેર કર્યા પછી સમર્થકો વિખરાયા હતા. મતદાન અને મત ગણતરીમાં 48 કર્મચારીઓ જોડાયા હતા.

ગેરરીતિની શંકા : વિપુલ ચૌધરી જૂથના ઉમેદવારોએ ચૂંટણી દરમિયાનના સીસીટીવી ફૂટેજ માગ્યા
વિપુલ ચૌધરી જૂથના 12 ઉમેદવારોએ ચૂંટણીમાં ગેરરીતિ થયાની આશંકા દર્શાવી ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં ચૂંટણી દિવસના સીસીટીવી ફૂટેજની માંગણી કરી છે. સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયેથી મત ગણતરી સુધીના દોઢ કલાકમાં, જ્યાં મતપેટીઓ મૂકાઇ હતી તે હોલના ફૂટેજ આપવા વિનંતી કરી છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવેલા મતપત્રો, મતપેટીઓ, મતપત્રકોના અડધિયાં તેમજ અન્ય સાધનો જ્યાં છે તે જ હાલતમાં રાખવા અનુરોધ કર્યો હતો.

ડેરીમાં ભ્રષ્ટાચારથી કંટાળી પરિવર્તન થયું
ચેરમેનપદના દાવેદાર અશોકભાઇ ચૌધરી એ જણાવ્યુ કે, ડેરીમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર થયા, પશુપાલકોને સાત વર્ષથી પૂરતા ભાવ મળતા નથી. ડેરીમાં 2000 કરોડ જેટલું દેવું થયેલું છે, જેમાં 200 કરોડ વ્યાજ ભરવું પડે તેની અસર પશુપાલકોને થાય, ડેરીમાં 30 લાખ લિટર દૂધની આવક 18 લાખ લિટરે આવી ગઇ. એટલે પશુપાલકોએ ડેરીમાં પરિવર્તન પસંદ કરી અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. અમે ડેરીમાં ભ્રષ્ટાચારમુક્ત વહીવટ આપીશું. રાજ્ય સરકાર અને ફેડરેશનના સહકારથી અન્ય ડેરીની જેમ પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળે તેવા પ્રયાસો કરીશું આ સંકલ્પોને પશુપાલકોએ આવકાર્યા છે અને ડેરીમાં સુશાસનની શરૂઆત થઇ છે.

કલોલ-ગોઝારિયાની બેઠકમાં ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળી, જબુબેનનું ભાગ્ય ઝળક્યું

કલોલ -ગોઝારિયા બેઠક પર તમામ 99 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં મત ગણતરીમાં એક મત અમાન્ય રહ્યો હતો એટલે 98 માન્ય મતોમાંથી પરિવર્તન પેનલના જબુબેન મનુજી ઠાકોર અને વિકાસ પેનલના શાંતાબેન માધાભાઇ ચૌધરીને 49-49 એકસરખા મત પેટીમાંથી નીકળ્યા હતા. જેમાં બંને જૂથના ટેકેદારની સંમતી લઇ ચૂંટણી અધિકારી દ્વારા બંને ઉમેદવારોની ચિઠ્ઠી બનાવાઇ હતી અને એક બાળકીએ ઉપાડેલી ચિઠ્ઠીથી જબુબેન ઠાકોરનો વિજય થતાં આ બેઠક પણ પરિવર્તન પેનલના ફાળે ગઇ હતી.

કડીમાં સૌથી ઓછી, મહેસાણામાં સૌથી વધુ લીડ કડી બેઠકમાં પરિવર્તન પેનલનાં જશીબેન દેસાઇએ હરીફ ઉમેદવાર પ્રેમિલાબેન પટેલ કરતાં 4 મત વધુ મેળવીને પાતળી સરસાઇથી વિજય મેળવ્યો હતો. જ્યારે મહેસાણા બેઠક પર અશોક ચૌધરીએ હરીફ નાનજીભાઇ ચૌધરી કરતાં 59 વધુ મત મેળવી સૌથી વધુ સરસાઇથી વિજેતા બન્યા હતા.

કુલ 1119 મતદાન પૈકી 6 મત અમાન્ય રહ્યા
મહેસાણા/ ડેરીની ચૂંટણીમાં કુલ 1129 પૈકી 1119 મતદારોએ મતદાન કર્યું હતું. મત ગણતરી દરમિયાન 6 મત અમાન્ય અને 1113 મત માન્ય રહ્યા હતા. કલોલ- ગોઝારિયામાં એક, ખેરાલુ-વડનગર-સતલાસણામાં એક, ચાણસ્મા-બહુચરાજીમાં બે અને સમી-હારિજમાં બે મત અમાન્ય રહ્યા હતા.

દરેક પરિવર્તનની લહેર આવી જ હોય છે....ભાસ્કર વિશ્લેષણ દેવેન્દ્ર તારકસ, સંપાદકના મતે
સહકારી રાજકારણમાં ગુજરાતમાં માત્ર દૂધસાગર ડેરી જ એવી એકમાત્ર સંસ્થા હતી જેમાં ભાજપને સ્પષ્ટ જીત માટે લાંબી રાહ જોવી પડી. આખરે 15 વર્ષ પછી વિપુલ ચૌધરીની ડેરીમાંથી સંપૂર્ણ વિદાય થઈ ગઈ છે.

દૂધસાગર ડેરીની ચૂંટણી આ વખતે આટલી બધી ચર્ચામાં આવી ગઈ હતી કે મહેસાણામાં કડકડતી ઠંડીમાં પણ આ ચૂંટણીના પરિણામને લઇને ગરમાવો હતો. વિપુલ ચૌધરીથી લઈને ડેરીના પૂર્વ ચેરમેન, વા.ચેરમેન, એમડી સહિત કેટલાક કર્મચારીઓ લાંબા સમયથી કોર્ટ કેસોમાં અટવાયેલા છે. પહેલા ચૂંટણી મોકૂફ રાખી વહીવટદારની નિમણૂંક પછી હાઈકોર્ટના હુકમથી ચૂંટણીની તારીખ જાહેર કરાઈ, પણ આના પહેલાં સીઆઇડી ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી લીધી. સેનાપતિ વિના જ વિપુલ ચૌધરીની વિકાસ પેનલે આ ચૂંટણી લડી, આજ કારણ છે કે વિપુલ ચૌધરી ખેરાલુ બેઠક પરથી પોતે પણ હારી ગયા.

પરિવર્તન કદાચ દૂધ ઉત્પાદકો પોતે પણ ઈચ્છી રહ્યા હતા. ફેડરેશન સાથે લાંબા સમયથી ચાલતા સંઘર્ષના કારણે છેલ્લે નુકસાન પશુપાલકોને જ થઇ રહ્યું હતું. એક પછી એક આક્ષેપ (કૌભાંડ) સાગરદાણ, બોનસ અને છેલ્લે ઘીમાં ભેળસેળ, આ બધા આક્ષેપોથી પશુપાલકો પણ કંટાળી ગયા હતા એટલે જ આશ્ચર્યજનક ચૂંટણી પરિણામ આવ્યાં છે. આ 15માંથી 13 બેઠકો પર અશોક ચૌધરીની પરિવર્તન પેનલની જીત આ જ કહાની કહી રહી છે. વિપુલ ચૌધરી જૂથની પરંપરાગત બેઠકો ઉપર પણ પરિવર્તન પેનલની જીત પશુપાલકોનો સ્પષ્ટ સંદેશો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post