• Home
  • News
  • વડા પ્રધાનના વતનમાં બનશે એથેન્સ પછીનું વિશ્વનું બીજું સૌથી મોટું ‘હેરિટેજ મ્યુઝિયમ’: મોદી ઉતારશે જન્મભૂમિનું ઋણ
post

એથેન્સના વર્લ્ડ ફેમસ ‘એક્રોપોલિસ મ્યુઝિયમ’ની રાહ પર જમીનથી 7 માળ નીચે 200 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક એસી મ્યુઝિયમ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-17 08:53:01

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાત દાયકાની સફર પૂરી કરીને 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વિશ્વભરમાં ભારતને ખ્યાતિ અપાવનારા નરેન્દ્ર મોદી આજે પણ પોતાના વતન વડનગરનું ઋણ ચૂકવવા સતત પ્રયત્નશીલ છે. વડનગરના વિકાસ થકી કાયાપલટના ડ્રીમ પ્રોજેક્ટ પર નરેન્દ્ર મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. આના પરિણામે આગામી દિવસોમાં વડનગર જ નહીં, સમગ્ર ગુજરાતને વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત થાય એ માટેના મેગા પ્રોજેક્ટ હવે અમલવારીના આરે છે. હવે એ સમય દૂર નથી કે વડનગરમાં જમીનની અંદર 200 કરોડના ખર્ચે 7 માળ (લેવલ)નું એક અનોખું હેરિટેજ મ્યુઝિયમ બનશે. વિશ્વમાં ગ્રીસના એથેન્સ બાદ વડનગરમાં બનનારું આ બીજું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ હશે. આ ઉપરાંત વડનગરની દંતકથા સમાન ગાયિકાઓ તાના-રીરીની યાદમાં એક સંગીત અકાદમી, યોગની એક અનોખી સ્કૂલ શરૂ કરાશે. એટલું જ નહીં, વડનગરને ઉદયપુરની જેમ ગુજરાતની સૌપ્રથમ લેકસિટી પણ બનાવવામાં આવશે.

દેશ-વિદેશના પર્યટકો વડનગરના મહેમાન બને એવું હશે મ્યુઝિયમ
નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈએ હેરિટેજ મ્યુઝિયમના પ્રોજેક્ટને સમર્થન આપતાં વાતચીતમાં ઉમેર્યું હતું કે વડા પ્રધાન બન્યા પછી પણ નરેન્દ્રભાઈ પોતાના વતનને ભૂલ્યા નથી. માત્ર ભારત જ નહીં, પરંતુ દેશ-વિદેશથી પ્રવાસીઓ વડનગર આવે એ માટે અહીં વિશ્વકક્ષાનું એક હેરિટેજ મ્યુઝિયમ બની રહ્યું છે. આ માટે જમીન સંપાદનની કામગીરી ચાલુ છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એ માટે રૂ.200 કરોડની ફાળવણી કરાઈ રહી છે. આ હેરિટેજ મ્યુઝિયમ ગ્રીસના એથેન્સના સુપ્રસિદ્ધ એક્રોપોલિસ બિનેથ ધ સર્ફેસએટલે કે જમીનથી અંદરની થીમ પર બનશે, એટલે જ તો એથેન્સ પછીનું આ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મ્યુઝિયમ બને એ માટેના પ્રયાસો ચાલુ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એક્સપર્ટ એજન્સીને સાથે રાખીને આ માટે કામ કરી રહી છે. હેરિટેજ મ્યુઝિયમ માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઈ રહી છે અને એનું કામ 2021ની શરૂઆતમાં શરૂ થશે.

વડનગરનું બીજું મોટું આકર્ષણ બનશે તાના-રીરી સંગીત અકાદમી
વડનગરની બીજી ઓળખ દંતકથા સમાન ગાયિકા બહેનો તાના-રીરીની છે. કહેવાય છે કે અકબરના સમયમાં તાનસેને દીપક રાગ ગાયો હતો. આથી તેના આખા શરીરમાં દાહ ઊપડ્યો. તાનસેનનાં આ શરીર દાહને શાંત કરવા તાના અને રીરીએ મેઘ-મલ્હાર રાગ ગાયો અને વરસાદ પડ્યો. તેનાથી તાનસેનનો શરીર દાહ શાંત થયો. આ વાત અકબર સુધી પહોંચતાં અકબરે બન્ને બહેનોને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું, પણ બન્ને બહેનો એ આમંત્રણ સ્વીકાર્યું નહીં. જેથી અકબરે બહેનોને લેવા લશ્કર મોકલ્યું. જેથી તાના-રીરીએ લશ્કરથી બચવા અગ્નિસ્નાન કરી લીધું હતું. તેમની યાદમાં વડનગરમાં વાર્ષિક તાના-રીરી મહોત્સવ યોજાય છે. આ બંને બહેનાના ગૌરવ સાથે જોડાયેલી વડનગરની ખુમારીને દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ કરવા અહીં એક સંગીત અકાદમી પણ શરૂ કરવામાં આવી રહી છે. આ માટે રૂ.10 કરોડનું ભંડોળ ફાળવાય એવી પણ યોજના છે. આ સંગીત અકાદમીની સાથે આગામી દિવસોમાં એક ફુલ-ફ્લેજડ સંગીત યુનિવર્સિટી પણ શરૂ કરવાનું આયોજન છે. આ માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. આ યુનિવર્સિટીમાં માત્ર ભારતીય શાસ્ત્રીય સંગીત જ નહીં, પરંતુ વિદેશી ક્લાસિકલ મ્યુઝિક પણ શીખવવામાં આવશે, જેથી એ દિવસો દૂર નથી કે જ્યારે દેશ-વિદેશથી સંગીત શીખવા ઉત્સુક વિદ્યાર્થીઓ અહીં આવશે.

મોદી ભણ્યા હતા એ બી. એન. સ્કૂલ બનશે યોગ માટેની ખાસ સ્કૂલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો યોગ પ્રત્યે પણ વિશેષ લગાવ છે. નરેન્દ્ર મોદીના મતે યોગ થકી યુવા પેઢીને વ્યસનના કુસંગી રસ્તે જતા રોકીને તેમનામાં રાષ્ટ્રનિર્માણ માટે ઊર્જાનો સંચય કરી શકાશે. આ માટે જ વડા પ્રધાન બાળપણમાં જે સ્કૂલમાં ભણ્યા હતા એ બી. એન. હાઈસ્કૂલને યોગ સ્કૂલમાં તબદિલ કરવાની પણ યોજના છે. અહીં વિદ્યાર્થીઓને યોગાસનો ઉપરાંત યોગમાં કારકિર્દી બનાવવાલક્ષી પણ માર્ગદર્શન આપવામાં આવશે. પાંચ કિલોમીટરનું ક્ષેત્રફળ અને ૩૦ હજારની વસતિ ધરાવતું વડનગર આ રીતે એકાદ દાયકામાં જ ગુજરાત અને ભારતના નકશામાં આગવું સ્થાન મેળવી લેશે. ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ 2021ના મે મહિના સુધીમાં પૂરું થશે, જે તમામ આધુનિક સ્પોર્ટ્સ સુવિધા સાથે સુસજ્જ હશે.

ઉદયપુરની જેમ વડનગર બનશે ગુજરાતનું લેકસિટી
વડનગરને ફરતે નાનાં-મોટાં 70થી વધુ તળાવો છે. આ તમામ તળાવોને ડેવલપ કરવાની પણ યોજના પર કામ ચાલી રહ્યું છે. સોમાભાઈ મોદીએ આ અંગે કહ્યું હતું કે વડનગર પુરાતન નગરી છે. પ્રાચીન ઋષિ યાજ્ઞવલ્ક્યની ઉત્પત્તિ અહીં થયાનું મનાય છે અને એ સમયે તો અહીં 300થી વધુ તળાવો તથા સરોવરો હતાં. જયારે હાલ પણ વડનગરમાં નાનાં-મોટાં 70થી વધુ સરોવરો છે. આ જળાશયોનો પણ વિકાસ થાય એ માટે ઝીલોં કી નગરીએટલે કે સરોવરોની નગરીની ઉપમા ધરાવતા ઉદયપુરનું મોડેલ અપનાવાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડનગરને પણ ગુજરાતના લેકસિટી તરીકે જાહેર કરવામાં આવશે.

મોદી વડા પ્રધાન બન્યા પછી વડનગરની થઈ કાયાપલટ
સોમાભાઈએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી વડનગરનો વિકાસ વેગવાન બન્યો છે. વડનગરના આ વિકાસ માટે સરકારે રૂ. 220 કરોડની ફાળવણી કરી છે. પહેલાં અહીંના રસ્તા ધૂળિયા હતા, ત્યાં હવે પાકી સડકનું નેટવર્ક છે. પ્રાચીન બૌદ્ધ સાઈટ ખાતે હેરિટેજ મ્યુઝિયમ બની રહ્યું છે. વડનગરના રેલવે સ્ટેશનને આધુનિકતમ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રાચીન શર્મિષ્ઠા તળાવને પણ ડેવલપ કરાયું છે.

કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે એથેન્સનું એક્રોપોલિસ મ્યુઝિયમ
ગ્રીના એથેન્સમાં આવેલું એક્રોપોલિસ મ્યુઝિયમ બંધાવવાની શરૂઆત 17મી સદીમાં થઈ હતી. જોકે તેમાં વારંવાર ફેરફારો કરવામાં આવ્યા હતા. હાલનું મ્યુઝિયમ 25 હજાર સ્કવેર મીટરમાં ફેલાયેલું છે, જેમાંથી 14 હજાર સ્કવેર મીટર એક્ઝિબિશન એરિયા છે, જે જૂના મ્યુઝિયમ કરતાં 10 ગણો મોટો એરિયા છે. જ્યારે જૂનું મ્યુઝિયમ એક્રોપોલિસની હિલ પર આવેલું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post