નક્સલીઓએ પોલીસ ટીમ પર આડેધડ ફાયરિંગ કર્યું
ગઢચિરોલી: મહારાષ્ટ્ર ના ગઢચિરોલીમાં સુરક્ષા દળો અને અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 2 નક્સલીઓ ઠાર કરાયા છે. C60 કમાન્ડો ટીમે 8 લાખના ઈનામી અને 15 પોલીસ કર્મચારીની હત્યા કરનારા નક્સલીને ઠાર કર્યો છે. હાલ માઓવાદીઓના મૃતદેહોને હેલિકોપ્ટર દ્વારા ગઢચિરોલી લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
સુરક્ષા દળોએ મોટા કાવતરાનો નિષ્ફળ બનાવ્યું
ગઢચિરોલીના એસપી નીલોત્પલે જણાવ્યું કે, નક્સલિઓની એક મોટી ટુકડી પોલીસ દળો પર હુમલો કરવા તેમજ આદિવાસીઓની હત્યા કરવાના ઈરાદે મોટું કાવતરું કરી રહ્યા છે. આ ટુકડી છત્તીસગઢના મોહલ્લા માનપુર જિલ્લાના અંતિમ પોલીસ સ્ટેશન ગોડલવાહીથી લગભગ 10 કિલોમીટર દૂર બોધિનટોલા પાસે છત્તીસગઢ સરહદ પાસે કાવતરાને અંજામ આપી રહ્યા હતા. જોકે તે પહેલા નક્સલીઓની કરતુતની બાતમી મળતા જ સેનાએ તુરંત કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશન C60 કમાન્ડો ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.
પોલીસ દળ પર આડેધડ ગોળીબાર
એસપી નીલોત્પલના જણાવ્યા મજુબ જ્યારે પોલીસની ટીમ આ વિસ્તારમાં શોધખોળ અભિયાન ચલાવી રહી હતી, ત્યારે નક્સલીઓએ તેમના પર અચાનક આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે પણ વળતો જડબાતોડ જવાબ આપ્યો. નક્સલીઓ અને પોલીસ વચ્ચે લગભગ 1 કલાક સુધી ફાયરિંગ થતું રહ્યું. હાલ આ વિસ્તારમાંથી 2 નક્સલીઓના મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી એકે47 અત્યાધુનિક બંધુક અને એક એસએલઆર હથિયારો પણ મળી આવ્યા છે.
15 પોલીસ કર્મચારીઓની હત્યા કરનારો નક્સલી ઠાર
ઠાર થયેલો નક્સલી કસાનસુર દલમનો ડેપ્યુટી કમાન્ડર દુર્ગેશ વટ્ટી હોવાનો ખુલ્યું છે. 2019માં જામ્બુલખેડાના વિસ્ફોટની ઘટનામાં 15 પોલીસ કર્મચારીઓ શહિદ થયા હતા, જેમાં આ મૃતક નક્સલી મુખ્ય કાવતરાખોર હોવાનું પણ ખુલ્યું છે. આ હુમલાનો દુર્ગેશ વટ્ટી માસ્ટર માઈન્ટ હતો. તેણે 2019માં LED બ્લાસ્ટ કરી 15 પોલીસ કર્મચારીની હત્યા કરી હતી. હાલ આ વિસ્તારમાં શોધખોળ અભિયાન હાથ ધરાયું છે. નક્સલીઓ પાસેથી હથિયારોનો જથ્થો પણ જપ્ત કરાયો છે.