ગુરુકુળનો દાવો છે કે, માઘસ્નાન કરવાથી પાપ બળી જાય છે તેમજ બાળકોમાં સાહસિકતાના અને ધાર્મિકતાના ગુણ કેળવાય છે
અમદાવાદ: મેમનગર ગુરુકળના 450
વિદ્યાર્થી અને સંતોએ લગભગ 10 ડિગ્રી ઠંડીમાં પરોઢિયે ઠંડા પાણીથી સ્નાન કર્યું હતું. પોષ સુદ પૂનમથી મહાસુદ પૂનમ એટલે કે 9 ફેબ્રુઆરી સુધી 1 મહિનો કડકડતી ઠંડીમાં એક દિવસ અગાઉ કોરા માટલામાં ભરેલા ઠંડા પાણીથી સ્નાન કરવું તેને માઘસ્નાન કહે છે. ગુરુકુળનો દાવો છે કે, પદ્મપુરાણ તેમજ શાસ્ત્રો અને સત્સંગી જીવનમાં માઘસ્નાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. માઘસ્નાન કરવાથી પાપ બળી જાય છે તેમજ બાળકોમાં સાહસિકતાના અને ધાર્મિકતાના ગુણ કેળવાય છે તેમજ તેઓ ખડતલ બને છે. સામાન્ય પણે માઘસ્નાન નદી કે તળાવ કાંઠે થાય છે. પરંતુ નજીકમાં નદી કે તળાવ ન હોય તો કોરા માટલામાં સાંજે પાણી ભરી ખુલ્લામાં મૂકી બીજા દિવસે વહેલી સવારે આ પાણીથી સ્નાન કરવામાં આવે છે.
‘એક્યુટ વેસો વેગસ રિએક્શન’ આવે છે-ડૉ. પ્રવીણ ગર્ગ
બીજી તરફ એમ.ડી. ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગને આ અંગે પૂછ્યું. તેમનું કહેવું છે કે, શરીર પર અચાનક ઠંડું પાણી નાખવાથી ‘એક્યુટ વેસો વેગસ રિએક્શન’ આવે છે. મગજ વેસો વેગસ નસથી શરીરના વિવિધ ભાગને સંકેત મોકલે છે. એકદમ ઠંડું પાણી પડવાથી ગભરામણ, હૃદયના ધબકારા ઘટવા, બીપી ઘટવું તેમજ આંખે અંધારા આવે છે અને ક્યારેક વ્યક્તિ થોડી ક્ષણ માટે બેભાન પણ થઈ શકે છે.