ગુજરાતમાં એક જ દિવસમાં આઠ લોકોના હાર્ટ એટેકથી મોત થયા
ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં વધારો થયો છે. ત્યારે એકજ દિવસમાં સુરતના પાંડેસરા, હજીરા અને પુણા વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ અચાનક જ ઢળી પડ્યાના સમાચાર મળ્યા છે. પાડેસરમાં એક વ્યક્તિ પોતાની પુત્રી સાથે મસ્તી કરતા અચાનક ઢળી પડ્યો હતો. આ પાંચેયના મોત થયા હતા, જે તમામની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોના મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં ત્રણ લોકોના હૃદય બેસી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં જામનગરથી પતિની આંખનું ઓપરેશન કરાવવા આવેલા વૃદ્ધા, ખાનગી કોલેજની બસના ડ્રાઈવર અને પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
6 મહિનામાં 1 હજારથી વધુના હાર્ટ એટેકથી મૃત્યુ, 80 ટકા યુવાનો
એનસીઆરબીના અહેવાલ અનુસાર ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ગુજરાતમાં વર્ષ 2022માં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના 2853 કેસ નોંધાયા છે. જેમાં 2529 પુરુષ અને 324 મહિલાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ વર્ષ 2021માં હાર્ટ એટેકથી મૃત્યુ થયાની કુલ 2948 ઘટના નોંધાઇ હતી. એક અહેવાલ અનુસાર રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં હૃદયરોગના હુમલાથી 1 હજારથી વધુના મૃત્યુ થયા છે. આ મૃત્યુમાં 80 ટકાથી વધુ લોકો 11થી 25ની વયજૂથના છે.
હાર્ટ એટેકથી બચવા માટે આ ટિપ્સ અનુસરો
•તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો.
•ફેટ વાળી વસ્તુ જેમ કે,તેલ, માંસ ટાળો, તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, બદામ, માછલીનો સમાવેશ કરો.
•નિયમિત કસરત કરો. શરીરનું વજન વધવા ન દો.