NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત પાંચ કાર્યકરોને લોહી નિંગળતી હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા
અમદાવાદઃ ABVP-NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રદિપસિંહ વાઘેલા, ઋત્વિજ પટેલ સહિત 70થી 80ના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(જેએનયુ)માં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થીઓ પર હુમલો કરાતા દેશભરમાં ફરીવાર વિવાદ ઉભો થયો છે. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે મંગળવારે સવારે અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો આમને-સામને થઈ ગયા હતા અને લાકડી-ધોકા વડે સામ-સામે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. જેમાં 10 દિવસ પહેલા જ એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી લોહી લુહાણ થયા હતા. બીજીતરફ સ્થિતિને કાબૂમાં લેવાના નામે પોલીસે પણ એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત તેના પાંચ કાર્યકરોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે અને શહેર પોલીસ કમિશનર પાસે રિપોર્ટ પણ માગ્યો છે. તેમજ ઘાયલોના તાત્કાલિક નિવેદન લેવા માટે સૂચના આપી છે. હુમલાના વિરોધમાં NSUI દ્વારા બુધવાર સવારે 10થી બપોરે 12 વાગ્યા દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે કવિ નર્મદાના સ્ટેચ્યુ પાસે ધરણા કરવામાં આવશે.
આ ગાંધીનો સમય નથી, ઘર પર હુમલો કરે તો થોડું બેસી રહેવાય?: ABVP
આ મામલે ABVPના પ્રવક્તા સમર્થ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી NSUI પર આક્ષેપો કરતા જણાવ્યું કે, NSUI અને કોંગ્રેસના ગ્રુપમાં ABVP કાર્યાલય પાલડી ખાતે ભેગા થવાના મેસેજો ફરતા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર જ કાવતરું ઘડવામાં આવ્યું. તેઓ કોંગ્રેસના કાર્યાલય પરથી અહીં આવ્યા હતા. આ હુમલામાં એબીવીપીના આનંદ અને ભૌતિક પટેલ ઈજાગ્રસ્ત થયા છે.ઘર પર હુમલો કરે તો થોડું બેસી રહેવાય ? વ્હિકલને આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. NSUIના કાર્યકરો લાકડી અને પથ્થર લઈને યોજનાપૂર્વક આવ્યા હતા.આ ઘર્ષણ શાહનવાઝ શેખ,સુભાન સૈયદ,નારણ ભરવાડ વગેરેની આગેવાનીમાં થયું હતું અમે મારવા ગયા નથી. પોલીસ હાજર હતી પણ બધે થોડી પોલીસ જાય. પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ ગાંધીનો સમય નથી.
ABVPના કાર્યકરોની મીડિયા સાથે બોલાચાલી
NSUIની સાથે સાથે ABVPના કાર્યકરોએ મીડિયાકર્મીઓ સાથે પણ બોલાચાલી કરી હતી. માત્ર એટલું જ નહીં, ABVPએ મીડિયાને કાર્યાલયથી દૂર રાખ્યું હતું. એક કલાક પછી મીડિયાને અંદર આવી જોવા બોલાવી કહ્યું અમારી પાસે કોઈ લાકડી ધોકા નથી.
શાંતિપૂર્ણ દેખાવ એકાએક સમરાંગણમાં પલટાયો, પાઈપો-લાકડીઓ વડે હુમલો
જેએનયુમાં બુકાનીધારીઓના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો પર હુમલાના વિરોધમાં આજે સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી સ્થિત એબીવીપીના કાર્યાલય પાસેથી ઝંડા લઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી પહોંચ્યા ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય હતી પરંતુ એકાએક ઉહાપોહ મચી ગયો હતો અને વિરોધ પ્રદર્શન સમરાંગણમાં ફેલાઈ ગયું હતું. પાઈપો, લાકડીઓ અને ધોકાઓ લઈને દોડી આવેલા યુવાનોએ એનએસયુઆઈના કાર્યકરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું અને લાગ જોઈને ચોતરફથી ઘેરીને બરાબરના ફટકાર્યા હતા.
એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ આક્ષેપ કર્યો હતો કે, તેમના કાર્યકરો તો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જે તેમનો અધિકાર છે. તેમણે ગઈકાલે સાંજથી જ આ માટે આહવાન પણ કરી દીધું હતું. પરંતુ એબીવીપીના કાર્યકરો અગાઉથી જ લાકડીઓ અને પાઈપો જેવા હથિયારો વડે સજ્જ હતા. જેવી અમારી રેલી તેમના કાર્યાલય પાસે પહોંચી કે તુરત તેઓ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે અમારી પર ચોતરફથી તૂટી પડ્યા હતા. તેમણે અમને ઘેરી લઈને અમારી પર હુમલો કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.
પોલીસે પણ સ્થિતિ થાળે પાડવાના નામે એનએસયુઆઈના કાર્યકરોને જ ધોયા
એનએસયુઆઈના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ આ હિંસા માટે જાણે અગાઉથી જ સૂચના હોય તે રીતે તેમણે એનએસયુઆઈના કાર્યકરોને જ નિશાન બનાવ્યા હતા. પોલીસ અચાનક દોડતી આવી અને એનએસયુઆઈના કાર્યકરોને એકલા પાડી-પાડીને તેમને ચોતરફથી ધોયા હતા. સંખ્યાબંધ કાર્યકરોને આ કારણે નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસની આવી વરવી ભૂમિકાને પણ પ્રજા માફ નહીં કરે તેમ નિખિલ સવાણીએ કહ્યું હતું.
ભાજપ યુવા મોરચાના ઋત્વિજ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા હાજર જ હતા
ભાજપ યુવા મોરચાના વર્તમાન અધ્યક્ષ ઋત્વિજ પટેલ અને પૂર્વ અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલા અગાઉથી જ એબીવીપીના કાર્યાલયે હાજર હતા. એનએસયુઆઈના કાર્યકરો આવે એટલે કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે માટેનું પ્લાનિંગ પણ આ બંનેની આગેવાનીમાં જ થયું હોવાના કોંગ્રેસ તથા એનએસયુઆઈના નેતાઓના આક્ષેપો છે. જો કે, પાછળથી ઋત્વિજ પટેલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, આ પ્રકારનો હુમલો નિંદનિય છે અને ગાંધીના ગુજરાતમાં આવી હિંસાને કોઈ સ્થાન ન હોઈ શકે. જો કે, હુમલો કોણે કર્યો તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
એબીવીપીના કાર્યકરોએ તો સ્વબચાવમાં હુમલો કર્યો, તેમનો વાંક નથીઃ વાઘેલા
ભાજપ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાએ આ હુમલા અંગે કહ્યું હતું કે, સંઘર્ષની શરૂઆત એનએસયુઆઈએ કરી હતી અને તેમણે 24 કલાક પહેલાં મીડિયામાં આ હુમલાનું આહ્વાન કર્યું ત્યારે કોંગ્રેસના કોઈ સિનિયર નેતાએ તેમને કેમ રોક્યા નહીં. કોંગ્રેસના કાર્યકરો જ્યારે એબીવીપીના કાર્યાલય પર હુમલો કરવા આવી રહ્યા હોય તો તે જાણીને શું એબીવીપીના કાર્યકરો બેસી રહે? પોતાના ઘર પર હુમલો થાય તો કોઈ પણ હિંસા પર ઉતરી આવે. વાસ્તવમાં આ પ્રકારનું ન્યૂસન્સ ફેલાવવાનું એનએસયુઆઈએ બંધ કરવું જોઈએ અને કોંગ્રેસના નેતાઓએ તેમને સમજાવવા જોઈએ.
સંઘર્ષની શરૂઆત એબીવીપીએ કરી, પ્રિપ્લાન કરીને માર માર્યોઃ મનીષ દોશી
કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે, આ આખી પરિસ્થિતિને સમજવાની જરૂર છે કારણ કે જે રીતે એબીવીપીના કાર્યકરોએ પ્રિપ્લાન કરીને હુમલો કર્યો છે તે ઘણું કહી જાય છે. એનએસયુઆઈના કાર્યકરો તો લોકતાંત્રિક રીતે જેએનયુની હિંસા સંબંધે માત્રા રજૂઆત કરવા ગયા હતા. પરંતુ ભાજપ અને એબીવીપીના કાર્યકરોએ પૂર્વાયોજિત કાવતરું પાર પાડતા એનએસયુઆઈના કાર્યકરોને ઘેરીને બરાબરના માર્યા હતા. આમ, એબીવીપીનો ગુંડાગીરીનો ચહેરો દેશભરમાં ઉઘાડો પડી ગયો છે.