એનસીપી-કોંગ્રેસ-શિવસેના ગઠબંધને બુધવારે વાય.બી. ચૌહાણ સેન્ટરમાં ચાર કલાક બેઠક કરી હતી
મુંબઈ:એનસીપી-કોંગ્રેસ-શિવસેના ગઠબંધને બુધવારે
વાય.બી. ચૌહાણ સેન્ટરમાં ચાર કલાક બેઠક કરી હતી. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે
કહ્યું કે ગુરૂવારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને તેમની સાથે દરેક
પાર્ટીમાંથી એક-બે ધારાસભ્ય મંત્રીપદની શપથ લેશે. પટેલે કહ્યું કે 3 ડિસેમ્બર પહેલા
વિશ્વાસમત મેળવવો જરૂરી છે અને મંત્રીમંડળનું બાકીનું વિસ્તરણ ત્યારબાદ કરવામાં
આવશે.
પટેલે કહ્યું
કે ઉપમુખ્યમંત્રી એનસીપીના હશે પરંતુ તેમણે એ સવાલનો જવાબ ન આપ્યો કે શું આ પદ
અજીત પવારને આપવામાં આવશે ? તેમણે કહ્યું કે તે શપથગ્રહણ બાદ
સ્પષ્ટ થઇ જશે. પટેલે કહ્યું કે વિધાનસભા સ્પીકર કોંગ્રેસના હશે.
સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે શિવસેનાને
મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય 15 મંત્રીઓનો કોટા મળશે. એનસીપી અને
કોંગ્રેસમાંથી 13-13 મંત્રી બની શકે છે. બીજી તરફ એનસીપી
કાર્યકર્તાઓએ બારામતીમાં અજીત પવારના પોસ્ટર લગાવ્યા છે. તેમાં લખ્યું છે કે ચાલો
નક્કી કરીએ કે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ. સમગ્ર મહારાષ્ટ્ર તમારી તરફ
જોઇ રહ્યું છે, ભવિષ્યના મુખ્યમંત્રી તરીકે.
આ ગઠબંધનને મંગળવારે મહા વિકાસ આગાડી નામ
આપવામાં આવ્યું હતું. ટ્રાઇડેન્ટ હોટલમાં દરેક ધારાસભ્યોની બેઠક દરમિયાન ઉદ્ધવ
ઠાકરેને ગઠબંધનના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના 29માં મુખ્યમંત્રી બનશે. 28 નવેમ્બર સાંજે 6.30 વાગ્યે તેઓ
મુખ્યમંત્રી પદની શપથ લેશે. બહુજન વંચિત આગાડીએ પણ ગઠબંધનને સમર્થન આપ્યું છે.
તેના નેતા હિતેન્દ્ર ઠાકુરે બુધવારે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.