• Home
  • News
  • મોટો નિર્ણય:અમદાવાદમાં પ્રદૂષણનું જોખમ, હવે ભારે વાહનને દિવસે શહેરમાં નો-એન્ટ્રી, માત્ર RTOનાં કામકાજ માટે છૂટછાટ
post

આરટીઓનાં કામકાજ માટે આવતાં વાહનોને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 12:26:38

શહેરમાં પ્રદૂષણની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. બે દિવસ કર્ક્યૂને કારણે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું, પરંતુ ગઈકાલ સવારથી ફરી પ્રદૂષણ વધ્યું છે. આ બાબતને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે શહેરમાં સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ છે. ત્યારે આરટીઓનાં કામકાજ માટે આવતાં વાહનોને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ મળશે.

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં પ્રદૂષણની સમસ્યા ખૂબ જ વધી રહી છે. ત્યારે હવે એને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટર વેહિકલ એક્ટ અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર, હવેથી સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક સહિતનાં ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે જે વાહનો આરટીઓમાં કામકાજ માટે આવવા માગતાં હોય એને સવારે 10થી સાંજે 6 સુધી જ છૂટછાટ આપવામાં આવી છે.

7500 કિગ્રા સુધીના વજન સાથેના વાહન શહેરમાં પ્રવેશ કરી શકશે

* જે વાહનનું કુલ વજન 7500 કિગ્રા સુધીનું થતું હોય તેવાં તમામ લાઈટ ગુડ્સ વેહિકલ તથા લાઈટ પેસેન્જર વેહિકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, એ સિવાયનાં વેહિકલને શહેરમાં અવર-જવર કરવા પર સવારે 8થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતાં પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી 33 સીટ સુધીની હોય એવાં ક્ષમતાવાળાં પેસેન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે.

* માત્ર આરટીઓ કચેરીનાં કામકાજ માટે નીચે દર્શાવ્યા મુજબના માર્ગ પર સવારે 10થી સાંજે 6 દરમિયાન લાઇટ વેહિકલને પ્રવેશ મળી શકશે.

* સુભાષબ્રિજ આરટીઓ કચેરીનાં કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને ઝુંડાલ તપોવન સર્કલથી વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચીમનભાઈ પટેલ બ્રિજ પરથી માત્ર આરટીઓ કચેરીનાં કામ માટે આવી અને જઈ શકાશે.

* સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ સર્કલથી શાંતિપુરા સીધા બોપલ બાજુથી જમણી તરફ વળી તથા સરદાર પટેલ રિંગ ઉપરના સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી સીધા ઈસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીધા 132 ફૂટ રિંગ રોડથી સીધા આરટીઓ કચેરી સુધી અવર-જવર કરી શકાશે.

* વસ્ત્રાલ આરટીઓ કચેરીનાં કામ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને વસ્ત્રાલ ચાર રસ્તા થઈ આવી અને જઈ શકાશે.

* જીવનજરૂરી ચીજવસ્તુઓ, જેમ કે દૂધ-શાકભાજી, ફ્રુટ્સ, પેટ્રોલ તેમજ ડીઝલનાં વાહનોને સવારે 9થી બપોરે 1 અને સાંજના 4થી 9 સિવાયના સમયગાળામાં આવવા-જવા માટે છૂટછાટ આપવામાં આવી છે.

ધૂળ કરતાં ધુમાડો વ્યક્તિના સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક
સામાન્ય રીતે હવામાં રજકણ રહેલા હોય છે, પરંતુ નિયત માત્રાથી વધારે હોય તો એ માણસના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભારતનાં મોટાં શહેરોમાં હાલ આવા પાર્ટિકલનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં વાતાવરણમાં ખાસ કરીને ધુમાડો અને ધૂળના રજકણ મુખ્ય જવાબદાર પ્રદૂષક છે. આ પ્રદૂષકમાંથી ધુમાડો એ કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ હાનિકારક છે. ધુમાડા અને ધૂળના વધતા પ્રમાણથી લોકોમાં શ્વાસને લગતી બીમારીઓ વધુ જોવા મળી રહી છે. ધૂળ-ધુમાડો મહદંશે કેન્સર માટે પણ જવાબદાર પરિબળ છે. સૌથી વધારે બાળકોના શ્વસનપ્રક્રિયાને માઠી અસર કરે છે.

અમદાવાદમાં આ કારણોથી હવા-પ્રદૂષણ વધુ ફેલાય છે
-
પિરાણા કચરાના ડુંગરમાં વારંવાર લાગતી આગ.
-
બાંધકામ અને મોટા પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી ધૂળ.
-
ખુલ્લા પ્લોટમાંથી થતું માટીનું ધોવાણ.
-
જાહેરમાં કચરાને આગ લગાડવાની પ્રવૃત્તિથી પણ જવાબદાર.

 

adv

Related News

post
post
post
post
post
post
post