અન્ય એક અધિકારીએ કહ્યું કે, આ ઉપગ્રહની બેટરી ફક્ત એક કલાક અને 40 મિનિટના હિસાબે ડિઝાઈન તૈયાર કરાઈ હતી
બેંગલુરુ: ભારતના મંગળયાનમાં ઇંધણ એટલે
કે ફ્યૂલ અને તેની બેટરી બંને ખતમ થઈ ગયા છે. તેની બેટરી પણ એક સુરક્ષિત મર્યાદાથી
વધુ સમય સુધી ચાલતી રહી. દેશના આ પહેલા મંગળ મિશને આખરે પોતાની લાંબી સફર પૂરી કરી
લીધી છે. રૂ. સાડા ચારસો કરોડના ખર્ચે બનેલા માર્સ ઓર્બિટર મિશન (એમઓએમ)ને પાંચમી
નવેમ્બર, 2013ના રોજ પીએસએલવી-સી25ની મદદથી લૉન્ચ કરાયું હતું.
ઈસરોના વિજ્ઞાનીઓએ આ અંતરિક્ષ
યાનને પહેલા જ પ્રયાસમાં 24 સપ્ટેમ્બર, 2014ના રોજ સફળતાપૂર્વક મંગળની કક્ષામાં સ્થાપિત કરી દીધું હતું. ઈસરોના સૂત્રોના
જણાવ્યાનુસાર, હવે મંગળ યાનમાં ઇંધણ નથી બચ્યું. તેની બેટરી પણ ખતમ થઈ ગઈ છે, જેથી તેની
સાથેનો સંપર્ક કપાઈ ગયો છે.
જોકે, આ અંગે ઈસરોએ કોઈ
સત્તાવાર નિવેદન નથી કર્યું. આ પહેલા ઈસરો એક આગામી ગ્રહણથી બચવા માટે મંગળ યાનને
નવી ધરીમાં લઈ જવા પ્રયત્ન કરતું હતું. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું
કે, જોકે, હાલમાં જ એક પછી એક ગ્રહણ લાગ્યા, જેમાં એક ગ્રહણ તો સાડા
સાત કલાક સુધી ચાલ્યું હતું.
તો અન્ય એક અધિકારીએ
કહ્યું કે, આ ઉપગ્રહની બેટરી ફક્ત એક કલાક અને 40 મિનિટના હિસાબે ડિઝાઈન
તૈયાર કરાઈ હતી. એટલે એક લાંબા ગ્રહણના કારણે તેની બેટરી પૂરી થઈ ગઈ. ઈસરોના એક
અધિકારીએ કહ્યું કે, છ મહિનાની ક્ષમતા ધરાવતા માર્સ ઓર્બિટરે આઠેક વર્ષ કામ કર્યું. તેણે બખૂબી કામ
કર્યું અને તેનાથી મહત્ત્વના વૈજ્ઞાનિક પરિણામો પણ મળ્યાં.