• Home
  • News
  • સામૂહિક આપઘાત:ભાવનગરમાં પિતાએ બે માસુમ બાળકો સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો, ભાવનગરમાં એક મહિનામાં સામૂહિક આપઘાતની બીજી ઘટના
post

પત્ની ઘરકંકાસને લઈ રિસમાણે ગઈ હોય પતિએ આવેશમાં આવી પગલું ભર્યું હોવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 09:56:04

ભાવનગર પાસેના વરતેજ તાબેના નવાગામ ખાતે રહેતા શ્રમજીવીના પત્ની છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસના કારણે રિસામણે હોય તેનાથી કંટાળી યુવકે તેના બન્ને બાળકોને ગળે ટૂંપો દઇ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા વરતેજ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહોને પી.એમ.માટે હોસ્પીટલમા ખસેડી બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અગાઉ પણ ભાવનગરના વિજયરાજનગર ખાતે નિવૃત્ત DySPના પુત્રએ પોતાની રીવોલ્વરથી બે પુત્રી અને પત્નીને ગોળી મારી પોતે પણ લમણે ગોળી ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બંને બનાવોમાં ઘર કંકાસનું કારણ ખુલ્યું હતું.

બનાવની મળતી વિગતો મુજબ વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના નવાગામ ખાતે રહેતા અને મજુરી કામ કરતા લાલાભાઇ નાગજીભાઇ ચોહાણ (ઉ.વ.30 )ને તેમના પત્ની સાથે કેટલાક સમયથી ઘર કંકાસ ચાલતો હતો. પોતાની આર્થીક સ્થિતી થોડી નબળી હોય વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. અને અવારનવાર પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતી હતી. છેલ્લે થયેલ ઝઘડા બાદ પત્ની તેમના પિયરે રિસામણે ચાલી ગયેલ. અને સમજાવ્યા છતા પરત ન આવતા લાલાભાઇને કામ ધંધાની જવાબદારી અને નાની દીકરી પ્રતિજ્ઞા (ઉ.વ.5 ) તથા પુત્ર માનવ (ઉ.વ.3 ) ને સાચવવાની પણ જવાબદારી હતી. જેથી તેઓ કામ ધંધે જઇ શકતા ન હોય અને પત્ની રિસામણે હોય જેનાથી કંટાળી ગયા હતા. પ્રથમ બન્ને બાળકોને ઘરના પતરાની છતમાં લાગેલા લોખંડના પાઇપ સાથે કપડા બાંધી બન્નેને ગળે ટુંપો દઇ બાદમાં પોતે પણ ફાંસો ખાઇ લેતા ત્રણેયના મોત નીપજ્યાં હતા.

બનાવની જાણ થતા ભાવનગર SP, DYSP ડી.ડી.ચૌધરી, વરતેજ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહોને દોરીએથી નીચે ઉતારી પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમીક તપાસમા સામૂહીક આપઘાતનું કારણ ઘરકંકાસ હોવાનુ જાણવા મળેલ છે.

બાળકોને પહેલા ફાંસો આપી પછી પિતાએ આત્મહત્યા કર્યાની શક્યતા
સામૂહિક આપઘાતની ઘટનામાં પહેલા પિતાએ બંને બાળકોને ફાંસો આપી પછી પોતે લટકી ગયો હોઇ તેની શક્યતા છે. અથવા તો બાળકોને ફોસલાવીને ત્રણેયે એકસાથે ફાંસો ખાઇ લીધો હોઇ શકે.

ભાવનગરમાં એક મહિનામાં સામૂહિક આપઘાતની બીજી ઘટના
ગત 16 સપ્ટેમ્બર 2020ના રોજ ભાવનગરમાં વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનનો વ્યવસાય કરતા નિવૃત્ત ડીવાયએસપીના નરેન્દ્રસિંહ.બી જાડેજાના પુત્ર પુથ્વીરાજસિંહ ઉર્ફે પદયુમનસિંહ ઉર્ફે પદુભા નરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.36)એ બુધવારે મોડી સાંજે પોતાના ઘરે પોતાની બે પુત્રીઓ, પત્ની અને કૂતરાને પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કરી બાદમા પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લેતાં તમામનાં મોત નીપજ્યાં હતાં. આપઘાત કર્યા પહેલાં તમામ મિત્રો અને સગાં-સંબંધીઓને વોટસએપથી મેસેજ કરી આત્મહત્યા કરતા હોવાની જાણ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post