સોલંકી બીમારીને કારણે લાંબા સમયથી જાહેરમાં દેખાતા ન હતા, પરંતુ ચૂંટણી પહેલાં તેઓ સક્રિય બન્યા છે
રાજ્ય સરકારના મંત્રીઓમાં જ આંતરિક વિખવાદ સપાટી પર આવી રહ્યો
છે. ખુદ સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ વાવાઝોડાથી અસર પામેલા માછીમારોને સરકાર
તરફથી પૂરતી સહાય ન મળી હોવાનું નિવેદન આપી બંડ પોકારતા મત્સ્યોદ્યોગ વિભાગના
કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સરકારના બચાવમાં આવ્યા છે. રાજ્યકક્ષાના મંત્રીના
નિવેદનથી વિરુદ્ધ ચાવડાએ સરકારની પ્રસંશા કરી છે. મંત્રીઓ હવે સરકારની સામે
ખુલ્લેઆમ આવી રહ્યા છે ત્યારે સરકારમાં બે ધરી રચાઈ હોવાની ચર્ચાએ સચિવાલયમાં જોર
પકડ્યું છે.
ભૂતકાળમાં આવું
ઐતિહાસિક પેકેજ નથી આપ્યુંઃ ચાવડા
સોલંકીએ મંગળવારે કહ્યું હતું કે સરકારે માછીમારોને પૂરતી સહાય આપી નથી. તેમણે
રાજીનામું આપી દેવા સુધીની તૈયારી દર્શાવી હતી. સોલંકીના નિવેદન બાદ હવે ડેમેજ
કંટ્રોલ માટે સરકારે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને ઉતાર્યા છે. કોંગ્રેસ છોડીને
ભાજપમાં આવ્યા બાદ મંત્રી બનેલા જવાહર ચાવડાએ સરકારની પ્રસંશા કરતા કહ્યું હતું કે
માછીમારોને ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય તેવું 105 કરોડનું ઐતિહાસિક પેકેજ
અપાયું છે. 10.41 કરોડની સહાય માછીમારોના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા કરાવી દેવામાં આવી છે.
ચૂંટણી પહેલા સોલંકી
એકાએક સક્રિય થયા
સોલંકી બીમારીને કારણે લાંબા સમયથી જાહેરમાં દેખાતા ન હતા, પરંતુ ચૂંટણી પહેલાં
તેઓ સક્રિય બન્યા છે. કોળી સમાજના અન્ય આગેવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં બેઠકો
બોલાવાઈ રહી છે, જેમાં સોલંકીની બાદબાકી થઈ હોવાથી સમાજનું ધ્યાન ખેંચવા સોલંકીએ બંડ પોકાર્યું
છે. તાજેતરમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ધારાસભ્યોની બોલાવેલી બેઠકમાં મોડું થયું
હોવાનું કારણ આપી તેઓ બેઠક અધૂરી છોડી રવાના થઈ ગયા હતા.