18 પીઆઇસીયુમાં તેમજ 55 બાળકો એનઆઇસીયુમાં સારવાર હેઠળ છે
અમદાવાદ: અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગમાં દરરોજ અંદાજે 180થી 200 તેમજ મહિને અંદાજે 5 હજારથી વધુ બાળકો દાખલ થાય છે. તેની સામે માત્ર 45 જ રેસિડેન્ટ ડોકટર હોવાથી 1 રેસિડેન્ટ ડોકટરે 15 બાળકોની સારવાર કરવાની હોય છે. પીડિયાટ્રિક વિભાગમાં નિષ્ણાત ડોકટરની 6 પોસ્ટ ખાલી છે, ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં પીડિયાટ્રિક વિભાગના 4 નિષ્ણાત ડોકટરની રાજયની અન્ય મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરી હતી. જેથી રેસિડેન્ટ ડોકટરોએ મોટેભાગે 8 કલાકને બદલે 12થી 15 કલાક સુધી ફરજ બજાવવી પડે છે.
સિવિલ હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ જણાવે છે કે, મંગળવારને 7 જાન્યુઆરીએ પીડિયાટ્રિક વિભાગમાં કુલ 198 બાળકો સારવાર લઇ રહ્યા છે, જેમાંથી 18 પીઆઇસીયુમાં તેમજ 55 બાળકો એનઆઇસીયુમાં સારવાર હેઠળ છે અને 3 બાળકના મોત થયા છે. પીડિયાટ્રિક વિભાગમાં 45 રેસિડેન્ટ ડોકટરો અને 67 નર્સ રાઉન્ડ ધી ક્લોક ઉપલબ્ધ છે.