• Home
  • News
  • મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલક એક કલાક બાદ ટુ-વ્હિલરના 10 અને ફોર વ્હિલરના 30 ચાર્જ લઈશ શકશે- સુપ્રીમ કોર્ટ
post

મલ્ટિપ્લેક્સ ,થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પહેલા કલાક ફ્રી પાર્કિંગ બાદ ટુ વ્હિલરના રૂ. 10 અને ફોર વ્હિલરના રૂ. 30 વસૂલ કરી શકશે તેવો સુપ્રીમ કોર્ટે વચગાળાનો ચૂકાદો આપ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-16 12:39:45

અમદાવાદ: મલ્ટિપ્લેક્સ ,થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પહેલા કલાક ફ્રી પાર્કિંગ બાદ ટુ વ્હિલરના રૂ. 10 અને ફોર વ્હિલરના રૂ. 30 વસૂલ કરી શકશે તેવો સુપ્રીમ કોર્ટે વચગાળાનો ચૂકાદો આપ્યો છે. પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહી એવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુરતના રાહુલરાજ મોલ કો.ઓ.સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશ મારફતે કોમર્શિયલ બિલ્ડીંગો (મોલ-મલ્ટિપ્લેક્સ)માં પાર્કિંગ ચાર્જ વસૂલવાની પરવાનગી આપી હતી.

કોમર્શિયલ બિલ્ડીંગમાં આવનાર મુલાકાતીઓ માટે પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા આપવા અને ત્યારબાદ પાર્કિંગ ચાર્જ વસૂલવા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી. ટુ વ્હિલરના કિસ્સામાં રૂ.10 અને ફોર વ્હિલર માટે રૂ.30થી વધુ પાકિંગ ચાર્જ નહી વસૂલી શકાય એવી પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી. સુપ્રીમકોર્ટનો આ હુકમ તમામ મોલ-મલ્ટિપ્લેક્સમાં હવે લાગુ પડી શકશે.

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવી પણ મહત્વની ટકોર કરી હતી કે, સંપૂર્ણ રીતે ફ્રી પાર્કિંગ હોઇ ના શકે. તેથી પક્ષકારોએ તેમની રીતે જરૂરી સૂચનો અને દરખાસ્ત રજૂ કરવા જોઇએ જેને કોર્ટ ધ્યાને લેશે. સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસની વધુ સુનાવણી તા.19મી નવેમ્બરે મુકરર કરી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ અનિરૂધ્ધ બોઝની ખંડપીઠે મહત્વના આદેશમાં જણાવ્યું હતું કે, અરજદાર અને જીડીસીઆરના નિયમન નં-7.4માં નિર્દિષ્ટ અન્ય મર્કેન્ટાઇલ તથા એસેમ્બલી કેટેગરીમાં આવતાં કોમર્શિયલ બિલ્ડીંગોના માલિકો અને મેનેજરોએ તેમના બિલ્ડીંગમાં આવનાર મુલાકાતીઓને પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની રહેશે. ત્યારબાદ તેઓ વાજબી પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે પરંતુ આ પાર્કિંગ ચાર્જ ટુ વ્હિલરના કિસ્સામાં રૂ. 10 અને ફોર વ્હિલરના કિસ્સામાં રૂ. 10થી વધુ વસૂલી શકાશે નહીં.

સુપ્રીમ કોર્ટમાં થયેલી આ પિટિશનમાં અરજદાર પક્ષ તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પાર્કિંગની સમસ્યા એ દેશની સળગતી અને સાર્વત્રિક વ્યાપક સમસ્યા છે. રાહુલરાજ મોલના પાર્કિંગના એસેસમેન્ટ પે એન્ડ પાર્ક તરીકે છે.

હાઇકોર્ટને કાયદામાં પાર્કિંગની જોગવાઇ આગળ ફ્રી શબ્દ ઉમેરવાની સત્તા નથી, કારણ કે, કાયદામાં મફત પાર્કિંગની જોગવાઇ નથી. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી અરજદાર સહિત અનેક મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલકો અસર પામ્યા છે અને પ્રભાવિત છે, ત્યારે આ મહત્વના મુદ્દે સુપ્રીમ કોર્ટે યોગ્ય દરમિયાનગીરી કરવી જોઇએ અને યોગ્ય રાહત આપવી જોઇએ. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, પાર્કિંગ ફ્રી હોઇ શકે નહીં પરંતુ તે અંગે ચોક્કસ સૂચનો સાથે પક્ષકારોએ આવવું જોઇએ. જે મુલાકાતીઓ મોલમાંથી ખરીદી કરે કે, સિનેમાની ટિકિટ બતાવે તેવા લોકો માટે ફ્રી પાર્કિંગ કરી શકાય.

આ કેસમાં રૂચિ મોલ્સ(આલ્ફા વન મોલ) તરફથી પણ કેસમાં જોડાઇને રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન ગુજરાત સરકાર તરફથી આ કેસમાં વધુ સમય આપવા માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, મોલની આજુબાજુની સોસાયટીઓમાં પણ રહેવાસીઓને પાર્કિંગની સમસ્યા હોય છે, તેથી પેઇડ પાર્કિંગ હોય તો તેઓ પણ મોલમાં પાર્ક કરી શકે કે કેમ તે અંગે પણ સૂચનો રજૂ કરવા પક્ષકારોને નિર્દેશ કર્યો હતો અને ઉપરોક્ત મહત્વનો વચગાળાનો આદેશ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post