• Home
  • News
  • 24 કલાકમાં 4 લાખથી વધુ નવા દર્દીઓ, 3900થી વધુ મોત, વૈજ્ઞાનિકોએ જણાવેલી આ તારીખ રાખો ધ્યાનમાં
post

ભારતમાં કોરોનાની બીજી લહેર ભયંકર જોખમી જોવા મળી રહી છે. હાલાત બદથી બદતર થઈ રહ્યા છે અને નવા કેસ મામલે વધારો થવાની સાથે સાથે મોતના આંકડામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-06 10:28:56

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર ભયંકર જોખમી જોવા મળી રહી છે. હાલાત બદથી બદતર થઈ રહ્યા છે અને નવા કેસ મામલે વધારો થવાની સાથે સાથે મોતના આંકડામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. કોવિડ-19ના નવા કેસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 4.12 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 3900થી વધુ મોત થયા છે. 

એક દિવસમાં નવા કેસ અને મોતનો વધ્યો આંકડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,12,262 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 2,10,77,410 પર પહોંચ્યો છે. જેમાંથી 35,66,398 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,29,113 દર્દીઓ રિકવર પણ થયા છે. જો કે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 24 કલાકમાં કોરોનાએ 3980 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,30,168 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 16,25,13,339 લોકોનું રસીકરણ કરાયું છે. 

ભારતમાં આ  તારીખે આવશે કોરોનાનો પીક
સતત વધી રહેલા કેસ વચ્ચે સવાલ ઉઠે છે કે આખરે કોવિડ-19ની  બીજી લહેરનો પીક ક્યારે આવશે અને ક્યારે કેસમાં ઘટાડો થવા લાગશે. સરકારના મેથમેટિકલ મોડલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ.વિદ્યાસાગરનું કહેવું છે કે કોરોના વાયરસનો પીક આ અઠવાડિયે પોતાના પીક પર રહી શકે છે અને બીજી લહેરનો પીક 7મી મેના રોજ થઈ શકે છે. ત્યારબાદ કોવિડ-19ના કેસમાં ઘટાડો જોવા મળશે. 

અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સ્થિતિ
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ પ્રો.વિદ્યાસાગરે પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે કોરોના વાયરસને લઈને દરેક રાજ્યમાં સ્થિતિ અલગ અલગ રહેશે અને કોવિડ-19ના પીક પર પહોંચવાનો સમય પણ થોડો અલગ અલગ રહી શકે છે. જો કે તેમણે કહ્યું કે જે પ્રકારે કોરોના વાયરસના કેસ સમગ્ર દેશમાં વધી રહ્યા છે તે જોઈએ તો તે તેના પીક પર છે કે અથવા તો તેનાથી ખુબ નજીક છે.

તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી અને સૌથી પહેલા કોરોનાનો પીક પણ અહીં જ આવશે અને સૌથી પહેલા દર્દીઓની સંખ્યા ઘટવાની શરૂઆત પણ અહીંથી થશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા રાજ્યોમાં પણ કોરોનાના આંકડા વધુ રહેશે. જ્યારે જે રાજ્ય મહારાષ્ટ્રથી દૂર હશે ત્યાં પીક ધીરે ધીરે આવશે અને કેસ પણ મોડેથી ઓછા થશે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 48 લાખ પાર
દેશભરમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસ હવે 48 લાખ પાર ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 48 લાખ 80 હજાર 542  પર પહોંચ્યા છે. જ્યારે અત્યાર સુધી 72662 લોકોના કોરોનાથી મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ  બુધવારે એક જ દિવસમાં કોરોનાથી રાજ્યમાં 57640 નવા દર્દીઓ નોંધાયા જ્યારે 920 લોકોના મોત થયા. આ ઉપરાંત સારી વાત એ છે કે 57006 દર્દીઓ રિકવર પણ થયા. 

ગુજરાતમાં કોરોનાના નવા 12955 દર્દીઓ
રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે બહાર પાડેલા આંકડા મુજબ ગુજરાતમાં નવા 12955 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 133 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. એક દિવસમાં રાજ્યમાં 12995 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં અમદાવાદમાં 4248 દર્દીઓ, સુરતમાં 1466 દર્દીઓ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 6,33,427 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 7912 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post