રિવરફ્રન્ટના ઉસ્માનપુરાથી ટાગોર હોલ સુધીના અંદાજે 5 કિલોમીટરમાં ટ્રાફિકજામ સર્જાયો
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ફલાવર શોની રવિવારે વિક્રમી 70 હજાર લોકોએ મુલાકાત લીધી. 19
જાન્યુઆરીએ ફલાવર શો પૂરો થશે. શનિવારે 50 હજાર લોકોના ધસારાના કારણે રવિવારે શો નો સમય સવારે 7 વાગ્યાનો કરાયો હતો અને રાત્રિના 11 વાગ્યા સુધી લોકોને ટિકિટ અપાઈ હતી. બપોર બાદ ભીડ વધી જતા શોમાં પ્રવેશના મુખ્ય ચાર ગેટ ખાતે ત્રણ-ત્રણની લાઈનમાં પ્રવેશ અપાતો હતો તે વધારીને છ-છ કરી દેવાઈ હતી. આ સાથે દર મિનિટે સરેરાશ 72થી વધુ લોકોએ ફ્લાવર-શોની મુલાકાત લીધી કહેવાય. ગત રવિવારે કુલ 42 હજાર લોકોએ ફલાવર શો માણ્યો હતો.
ઉસ્માનપુરાથી ટાગોર હોલ સુધી 5 કિમીનો રિવરફ્રન્ટ રોડ જામ, આશ્રમ રોડ પર હજારો વાહન અટવાયાં
કાઈટ ફેસ્ટિવલ અને ફલાવર-શોના કારણે રિવરફ્રન્ટના ઉસ્માનપુરાથી ટાગોર હોલ સુધીના અંદાજે 5 કિલોમીટરમાં ટ્રાફિકજામ સર્જાયો હતો.બપોરે બે વાગ્યાથી વલ્લભસદનથી સરદારબ્રિજ વચ્ચેનો આ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિકનું બધું ભારણ આશ્રમ રોડ પર ડાયવર્ટ થતાં ફડિયા ચેમ્બર્સથી એલિસબ્રિજ વચ્ચે પણ કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. એલિસબ્રિજ, જમાલપુર સહિતના તમામ રસ્તેથી ફલાવર-શો સુધી પહોંચવા માટે એકથી દોઢ કલાક સુધીનો સમય લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાફિકની દ્રષ્ટિએ આ ફલોપ શો સાબિત થયો હતો.