જીજેઈપીસીનો અહેવાલ જાહેર, હીરાનો વેપાર ખોરવાયો
સુરતઃ કોરોના વાયરસના કારણે શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગને મોટો હાશકારો થયો છે. ત્યાં ડાયમંડ ઉદ્યોગ માટે ચિંતા વધી છે. 3 માર્ચ સુધી હોંગકોંગમાં જાહેર થયેલા વેકેશનના કારણે સુરતનો 9000 કરોડથી વધુનો હીરાનો વેપાર ખોરવાયો છે. ત્યાં જીજેઈપીસીના રજુ થયેલા અહેવાલ પ્રમાણે જાન્યુઆરીમાં પોલિશ્ડ ડાયમંડનો એક્સપોર્ટ 4.92 ટકા જ્યારે જ્વેલરીનો એક્સપોર્ટ 2.21 ટકા ઘટી ગયો છે.
કુલ 9000 કરોડથી વધુનુ નુકસાન થાય તેવી શક્યતા
સ્થાનિક તજજ્ઞોના મતાનુસાર, સુરતમાં તૈયાર થતાં હીરાના 37 ટકા હીરા હોંગકોંગ જ્યારે 4 ટકા હીરા ચાઈનામાં વેચાય છે. સુરતમાં દર વર્ષે 1.50 લાખ કરોડના હીરા એક્સપોર્ટ થાય છે. જ્યારે સુરતને એકમાત્ર હોંગકોંગ તરફથી વર્ષે 55,500 કરોડનો વેપાર મળે છે. કોરોના વાયરસની અસર હેઠળ 3 માર્ચ સુધી વેકેશન હોંગકોંગમાં જાહેર થઈ ચૂક્યું છે. તેમજ હોંગકોંગમાં માર્ચના અંતમાં થનારો એક્ઝિબિશન હવે મે મહિનામાં થવા જઈ રહ્યો છે. જેની વિપરીત અસર સુરતના હીરા ઉદ્યોગને થયો છે. હોંગકોંગ સ્થિત ગુજરાતી વેપારીઓના 700 થી 800 એકમોમાં પણ વેકેશનનો માહોલ હોવાના કારણે 3 માર્ચ સુધી એક્સપોર્ટ સાવ પડી ભાંગ્યો છે. કુલ 9000 કરોડ અને તેનાથી પણ વધુનું નુકશાન થાય તેવી વકી છે. આ માહોલ વચ્ચે જીજેઈપીસી દ્વારા જાન્યુઆરી માસ દરમિયાન થયેલા જેમ એન્ડ જ્વેલરી સેક્ટરના ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો અહેવાલ જાહેર કરાયો છે.જેમાં પોલિશ્ડ ડાયમંડનો 4.92 ટકા જ્યારે જ્વેલરીનો એક્સપોર્ટ 2.21 ટકા ઘટયો છે.