સરકારના અધિકાંશ અધિકારીઓનું માનવું છે કે, ગુજરાતમાં આવો કાયદો ઘડવા કે તેને અમલમાં મુકવા પાછળ ન્યોયોચિત કારણો જ નથી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે
ગુરૂવારે ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર ૧લી માર્ચ ૨૦૨૧થી આરંભ કરવા આહવાન કર્યું
હતું. આ સત્રમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નાણામંત્રી તરીકે સતત નવમી વખત
રાજ્યનું બજેટ રજૂ કરશે. સત્રારંભે ૧લી માર્ચે શોક પ્રસ્તાવને કારણે સભા મોકૂફ
રહેશે.
આથી, નાણામંત્રી વર્ષ ૨૦૨૧-૨૨ના
બજેટની રજૂઆત બીજી માર્ચે કરશે તેમ મનાય છે. આ દિવસે રાજ્યમાં પાલિકા- પંચાયતોના
ચૂંટણી માટે મતગણતરી પણ યોજવાની છે.
સ્વર્ણિંમ સંકૂલમાં છેલ્લા
એક સપ્તાહથી બજેટની પૂર્વ તૈયારી માટે નાણામંત્રી નીતિન પટેલે એક પછી એક વિભાગોના
સેક્રેટરીઓ, બોર્ડ- કોર્પોરેશનના
ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટરો સાથે
બેઠકોનો દોર શરૂ કર્યો છે. સવારના ૧૧થી શરૂ થતી આ બેઠકો મોડી રાત સુધી ચાલે છે અને
અત્યાર સુધીમાં બજેટ સંદર્ભે મહેસૂલ, ઉર્જા, શિક્ષણ, કૃષિ, આદિજાતિ વિકાસ, સામાજિક ન્યાય, પંચાયત, પાણી પુરવઠા, નર્મદા, આરોગ્ય, ગૃહ, ઉદ્યોગ સહિત લગભગ ૨૪
વિભાગો સાથે બેઠકો પુર્ણ થઈ ચૂકી છે. નાણા વિભાગના ટોચના વર્તુળોનું કહ્યુ માનિયે
તો ૧લી ફેબ્રુઆરીને સોમવારે કેન્દ્રીય બજેટ જાહેર થયા બાદ રાજ્યના બજેટને આખારી ઓપ
આપવામાં આવશે.
વિધાનસભામાં ૧લી માર્ચથી
શરૂ થનારા બજેટ સત્રમાં પહેલા દિવસે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ અને
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી સહિતના પૂર્વ ધારાસભ્યોને શોકાંજલિ
પાઠવાશે.
UPની જેમ લવજેહાદ સામે કાયદો
લાવવો તો છે પણ…
ઉત્તરપ્રદેશની જેમ
ગુજરાતની ભાજપ સરકારને પણ કથિત લવજેહાદ (વિધર્મી નાગરિકો વચ્ચે થતા લગ્નો) સામે
કાયદો લાવવાની તિવ્ર ઈચ્છા છે. પરંતુ, ગુજરાતમાં ઉત્તરપ્રદેશ જેવી સ્થિતિ નથી.
સરકારના અધિકાંશ અધિકારીઓનું માનવું છે કે, ગુજરાતમાં આવો કાયદો ઘડવા કે તેને અમલમાં મુકવા
પાછળ ન્યોયોચિત કારણો જ નથી. ઉલ્ટાનું ૨૫ વર્ષના ભાજપના શાસન બાદ આ પ્રકારના કાયદા
લાવવો તે પણ એક પ્રકારની નિષ્ફળતાને છતી કરતી બાબત પણ હોઈ શકે છે.