આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો
સુરતઃ સુરતના પુણા ગામના આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા. આ રામદેવ ડેપોમાં સાડી રોલ પોલીસનું કામ ચાલતું હતું ત્યારે રોલ પોલીસના મશીનમાં મોડી રાત્રે 3.52 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેમાં ભૂરારામ મકવાણા અને રાધેશ્યામ બેરવાલા નામના કામદારોના મોત નીપજ્યાં છે. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે.પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.