પાણીના સ્તરને કારણે છેલ્લાં 10 વર્ષથી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો પ્રોજેક્ટ અટવાયો હતો
છેલ્લાં દસેક વર્ષથી
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટકેલી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની કામગીરી ફરી શરૂ થાય એવી
સંભાવનાઓ જણાઈ રહી છે. આ પહેલાં ઘણીવાર નદીમાં પાણી સ્થાયી રહેતું ના હોવાના
સહિતનાં કારણોથી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો પ્રોજેક્ટ પાસ કરવામાં આવતો ન હતો, પરંતુ હવે રિવરફ્રન્ટ
ખાતે સી-પ્લેન સેવા શરૂ થતાં ફરીથી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થવાની ચર્ચાએ જોર
પકડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેસ સેવા શરૂ થતાં હવે મ્યુનિ.એ
સતત નદીમાં પાણીની સપાટીને લેવલમાં રાખવી પડશે. આ માટે એએમસીએ અત્યારસુધી કામગીરી
શરૂ કરી દીધી છે.
સી-પ્લેન બાદ અમદાવાદીઓને હવે
ફ્લોટિંગ રેસ્ટોરન્ટની આશા
અત્યારસુધીમાં
જેટલી પણ વાર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ અટક્યો છે એની પાછળ સૌથી મોટું કારણ
પાણીના લેવલની સમસ્યા હતી, પરંતુ
હવે સી-પ્લેન આવી જતાં એ મુશ્કેલી ઓછી થતાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ ફરી શરૂ
થવાની શક્યતાઓ દર્શાઈ રહી છે. સાતેક વર્ષ પહેલાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ
માટે અલગ-અલગ કંપનીઓએ ટેન્ડર મોક્યા હતા, જેમાં એક કંપનીનું ટેન્ડર પાસ પણ
થયું હતું, જોકે
એને પણ પાણીને સમસ્યાને લઈને અંતે એએમસી દ્વારા રદ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં
પહેલા સુરતમાં પણ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભરૂચમા દરિયો સ્થિર ન રહેતાં
સુરતની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બંધ કરાઈ હતી.
કેમ શરૂ નથી થતી ફ્લોટિંગ
રેસ્ટોરન્ટ?
બે-ત્રણ
વર્ષ પહેલાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો રૂટ નક્કી કરવા માટે
મેથેમેટિક સરવેનું કામ મંજૂર કરી દેવાયું હતું, પણ ફ્લોટિંગ રેસ્ટોરન્ટના EOI બહાર પાડવામાં આવ્યા ન હતા, કેમ કે આ પહેલાં જ્યારે EOI બહાર પાડયા એ વખતે કોન્ટ્રેક્ટરે 11 મહિના નદીમાં પાણી રહેશે તેવી
ખાતરી માગી હતી, પણ એ
મ્યુનિ. આપી શકી ન હતી, જેથી
એ વખતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ લટકી પડી હતી. હવે 12 મહિના પાણી રહે એવી સંભાવના તપાસી
ફ્લોટિંગ રેસ્ટોરન્ટના EOI બહાર
પાડવાની શક્યતા હતી, પણ
ઉનાળામાં પાણી કાપની સ્થિતિને લીધે મ્યુનિ.ના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું.
શું હોય છે ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો
ખર્ચ અને સુવિધા?
ભૂતકાળમાં
આ પ્રોજેક્ટને લઈને અલગ-અલગ જાહેરાતો તેમજ જાણકારી ફરતી થઈ હતી, જેમ કે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
પ્રોજેક્ટ પાછળ આશરે 5 કરોડ
રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. આ રેસ્ટોરન્ટમાં 300 લોકો બેસી શકે એટલી સ્પેસ હોય છે, સાથે જ આ બોટને એક દિવસમાં ત્રણ
ટ્રિપ અને શનિ-રવિની રજાઓમાં 5 ટ્રિપ કરાવી શકાય છે. આ બોટ પાછળ મેઇન્ટેનન્સ ખર્ચ પણ
વાર્ષિક લાખો રૂપિયાનો હોય છે. પહેલાં સાબરમતી રિવરફ્રન્ટ કંપનીએ ગોવાની
મે.વોટરવેસ શિપયાર્ડ પ્રા.લિ.ને દસ મહિનામાં નદીમાં ફરી શકે એવી ફ્લોટિંગ
રેસ્ટોરન્ટ બનાવવા માટેનો વર્ક ઓર્ડર આપ્યો હતો. શરત પ્રમાણે કંપનીએ એપ્રિલ
મહિનામાં નક્કી કરેલી છ લાખની ડિપોઝિટ જમા કરાવવાની હતી. આ સમયમર્યાદા પૂરી થયાને
બે મહિના વીતી ગયા પછી પણ કંપનીએ ડિપોઝિટ ભરવામાં કોઈ પ્રકારનો રસ દાખવ્યો નથી.
રિવરફ્રન્ટમાં વોટર સ્પોર્ટ્સ, ફલોટિંગ રેસ્ટોરન્ટ તથા વોટર ટ્રાન્સપોર્ટેશન વગેરે માટે
ગાંધીબ્રિજ અને સરદારબ્રિજનું લેવલ ઊંચું લઇ જવામાં કેટલો ખર્ચ થાય તથા નવા બ્રિજ
બનાવવામાં કેટલો ખર્ચ થાય એનો રિપોર્ટ તૈયાર કરવાની સૂચના અપાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઇપણ કામગીરી
શરૂ થઈ નથી.
હાલમાં 5 રાજ્યોમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે
હાલમાં, ગોવા, મુંબઈ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરી જેવા
રાજ્યો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ચાલી રહી છે, કેટલીક તરતી હોટલ જમવા, સ્વિમિંગ પુલ સહિતની અનેક
સુવિધાઓથી સજ્જ હોય છે, જે
મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. આ સિવાય ન્યુ યોર્ક, લંડન, દુબઇ, હોંગકોંગ અને વિયેટનામના સાઇગોન
જેવા શહેરોમાં પણ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે.