AMTSને કોરોનાને કારણે રૂ. 300 કરોડની ખોટ આ વર્ષે ભોગવવી પડી અને હજી વધુ ભોગવવી પડશે
રાજ્યમાં કોરોનાના
કેસોને કારણે લોકડાઉન બાદ અનલોક થતાં AMTS અને BRTS બસ સેવા મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા 50 ટકા બસો અને પેસેન્જરો સાથે શરૂ કરવામાં આવી હતી, જેના એક મહિના બાદ તમામ
બસો દોડાવી અને લોકડાઉન દરમિયાન થયેલી ખોટને પૂરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો
હતો. જોકે રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ એને કાબૂમાં લેવા માટે 18 માર્ચથી AMTS અને BRTS બંધ કરી દેવામાં આવી હતી, જેથી મ્યુનિસિપલ
કોર્પોરેશનને દરરોજની રૂ. 30 લાખની આવક બંધ થઈ જતાં મોટી
ખોટ ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં રોજના 30 લાખ પેટે રૂ.4.50 કરોડનું નુકસાન
કોર્પોરેશનને થયું છે.
કોરોનાને કારણે AMCને મોટું નુકસાન
AMTS અને BRTSના અધિકારીઓના જણાવ્યા મુજબ, અનલોકમાં પહેલા 50 અને બાદમાં તમામ બસો દોડાવતાં AMTSમાં રોજની આવક 16થી 17 લાખ સુધી અને BRTSની રૂ. 13 લાખની આવક પહોંચી હતી. જોકે ફરી
કોરોનાને કારણે આ બસો બંધ થતાં આવક બંધ થઈ ગઈ છે. AMTSના અધિકારીના જણાવ્યા મુજબ, શહેરમાં અનલોક થતાં 50 ટકા બસો દોડાવવામાં આવી હતી, જેમાં ધીરે ધીરે વધારો કરવામાં
આવ્યો હતો. પહેલાં રોજની 20 હજાર, 50 હજાર, 2 લાખ એમ કરી રૂ. 16થી 17 લાખ સુધીની આવક થઈ હતી. જોકે આજે
રોજની પેસેન્જરોની આવક ઉપરાંત ખર્ચમાં કર્મચારીઓનો પગાર ચાલુ જ છે. રૂ. 300 કરોડની AMTSને ખોટ ભોગવવાનો વારો આવ્યો છે.
કોન્ટ્રેક્ટરોને પણ લોકડાઉન
દરમિયાનનું ભાડું ચૂકવાયું
BRTS બસમાં
પણ અનલોક બાદ બસોમાં પેસેન્જરો ઓછા આવતાં આવક થઈ ન હતી. જોકે બાદમાં બસોમાં
પેસેન્જરો વધતાં રૂ. 13 લાખ
સુધી આવક પહોંચી ગઈ હતી. જોકે બસો બંધ થતાં હવે આવક પણ બંધ છે, જેનું મોટું નુકસાન AMCને થઈ રહ્યું છે. કોન્ટ્રેક્ટરોને
પણ લોકડાઉન દરમિયાનનું ભાડું ચૂકવવામાં આવ્યું હતું ત્યારે હજી જેટલા દિવસ બસો બંધ
રહેશે એનું ભાડું પણ ચૂકવવું પડશે, જેથી ખોટમાં વધારો થવાની પૂરી
સંભાવના છે.
બસસેવા બંધ છતાં ટ્રાફિકજામની
સમસ્યા યથાવત્
18 માર્ચથી
શહેરમાં BRTS અને AMTS બસ બંધ કરવામાં આવી છે, તેથી BRTS બસના રૂટ અને રસ્તા પણ બંધ છે. BRTS બસો બંધ થતાં શહેરમાં લોકોએ અવરજવર
માટે અન્ય વાહનોનો ઉપયોગ કર્યો છે, એટલે અન્ય વાહનોની સંખ્યા વધી છે.
અગાઉ BRTS અને AMTS બસ સેવા ચાલુ હતી ત્યારે
ટ્રાફિકજામ તો થતો જ હતો, પરંતુ
હાલ BRTS/AMTS બસો
બંધ હોવા છતાં ટ્રાફિકજામની સમસ્યા યથાવત જ છે.
બસો બંધ થતાં રિક્ષાચાલકોની લૂંટ શરૂ
AMTS અને BRTS બંધ થતાં રિક્ષાચાલકોએ પણ લોકોને
લૂંટવાનું શરૂ કર્યું છે. કેટલાક રિક્ષાચાલકો બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવી
મુસાફરોને લૂંટી રહ્યા છે. સામાન્ય કરતાં બેથી ત્રણ ગણું ભાડું માગી રહ્યા છે.
લોકો પાસે નોકરીએ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકો રિક્ષાચાલકોને મોં
માગ્યું ભાડું ચૂકવી રહ્યા છે. રિક્ષાચાલકો ત્રણથી વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે
ત્યારે કોરોના નહિ ફેલાય એવા પણ સવાલ લોકો કરી રહ્યા છે.