1-1 કલાકના અંતરાળમાં નીકળ્યા ત્રણેય રથ, સૌથી પહેલા બલભદ્ર
પુરી: સુપ્રીમ
કોર્ટના નિર્દેશ પ્રમાણે ભગવાન જગન્નાથની રથયાત્રા નિયત તિથિ અષાઢી બીજે સંપન્ન થઈ
ગઈ. સૂર્યાસ્ત પહેલા ત્રણેય રથ ગુંડિચા મંદિર (મૌસી બાડી) પહોંચી ગયા. ભગવાન અહીં
સાત દિવસ સહેશે. આમ દરેકનો સમય નવ દિવસનો હોય છે. તેમાંથી એક દિવસ આવવાનો અને એક
દિવસ જવાનો પણ સામેલ હોય છે. ધુરતી યાત્રા એકાદશી 1 જુલાઈએ હશે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રથયાત્રામાં એક પણ ભક્ત સામેલ ના થયો. મંદિર સંચાલનના
પ્રવક્તા જિતેન્દ્ર નારાયણ મહંતીના કહેવા પ્રમાણે, સ્થાનિકો પણ
ઘરોમાં કેદ રહ્યા. લોકોને બાલ્કનીમાં પણ આવવાની મંજૂરી ન હતી. તમામે ટીવી પર જીવંત
પ્રસારણ જોયું.
પરોઢિયે 3:15 વાગ્યે વિધિ
શરૂ, 11:55 વાગ્યે રથ નીકળ્યા
મંગળવારે પરોઢિયે 3:15 વાગ્યે વિધિ શરૂ થઈ. ખીચડી ભોગ પછી રથ પ્રતિષ્ઠા અને અન્ય
વિધિ સંપન્ન કરાઈ. પછી ખલાસીઓ બલરામ, સુભદ્રા અને
જગન્નાથની પ્રતિમાઓને દોરડા થકી રથ સુધી લાવ્યા. આ દોરડા પણ આખું વર્ષ ભગવાને
પહેરેલા કપડાંમાંથી બનાવાય છે. ગોવર્ધન પીઠ પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ
રથોની પૂજા કરી. પ્રતિમાઓનો શૃંગાર કરાયો. પાલખી પર સવાર ગજપતિ મહારાજ દબ્યસિંહ
દેવ 10:30 વાગ્યે સોનાના ઝાડુથી રથની પહિંદ વિધિ કરી. ભગવાન બલભદ્રના
રથથી 4-4 કાળા, બહેન સુભદ્રાના રથમાંથી ભૂરા
અને ભગવાન જગન્નાથના રથમાં સફેદ ઘોડા જોડવામાં આવ્યા. સૌથી આગળ બલભદ્ર, વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લા ભગવાન જગન્નાથનો રથ તૈયાર
કરાયો.
રેલવેની આખી ટીમ તહેનાત રહી
સૌથી પહેલા લાલ અને લીલા રંગના
કપડાંથી સજેલા ભગવાન બલભદ્રના રથ ‘તલધ્વજ’ને બાસુકી નાગ દોરડાથી બરાબર 11:55 વાગ્યે ખલાસીઓએ ખેંચવાનું શરૂ કર્યું. એક કલાકના અંતરાળે
લાલ અને કાળા કપડાંથી ઢાંકેલા બહેન સુભદ્રાના રથ ‘દર્પ દલન’ને સુવર્ણચુડા નાગ (દોરડા) અને તેના કલાક પછી લાલ અને પીળા
કપડાંથી ઢંકાયેલા ભગવાન જગન્નાના રથ ‘નંદીઘોષ’ને શંખચુડા નાગણ (દોરડા)થી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ.
રથોમાં આવનારી ટેકનિકલ ખામી દૂર કરવા રેલવે આખી કોચિંગ ડેપોના 40 મિકેનિક પણ મોટા જેક લઈને તહેનાત રહ્યા હતા.
અહીં બધું કામ ભગવાનની મરજી પ્રમાણે
મુક્તિ મંડપ મહાપંડિત મહાસભાના
ઉપસભાપતિ ઉમાબલ્લભ મહાપાત્રા કહે છે કે, પુરી મૃત્યુ
વૈકુંઠ છે. અહીં પરમ બ્રહ્મ બિરાજે છે. અહીં દરેક કામ ભગવાનની મરજીથી થાય છે.
કોરોના મહામારીમાં પણ તેમનું કામ ચાલુ છે. 16મી, 17મી, 18મી સદીમાં મોગલ સેનાના હુમલાને પગલે રથયાત્રા નહોતી યોજાઈ.
ત્યારે જગન્નાથને છુપાવી દેવાયા હતા, પરંતુ
મંદિરમાં યાત્રા નહોતી રોકાઈ. ત્યાં સુધી કે 1919ના સ્પેનિશ
ફ્લૂ વખતે પણ નહીં. હિંદુ મહાસભાના ઉપસભાપતિ લાલા અનંતકુમાર સિંહ કહે છે કે, ભગવાન જગન્નાથને જે કહેવામાં આવે છે, તે સાંભળે છે. આ જીવંત પ્રતિમા છે. તેમની સાથે 500 દેવતા રહે છે અને તમામ તેમની સાથે ચાલે છે.
ભગવાન બલભદ્રને સૌથી વધુ સમય લાગ્યો
રથ |
ભગવાન |
યાત્રા શરૂ |
ગુંડિચા મંદિર પહોંચ્યા |
સમય લાગ્યો |
તલધવ્જ |
બલભદ્ર |
સવારે 11:55 |
બપોર 3:50 |
3:55 કલાક |
દર્પદલન |
સુભદ્રા |
બપોર 12:55 |
બપોર 4:10 |
3:15 કલાક |
નંદીઘોષ |
જગન્નાથ |
બપોર 1.55 |
સાંજ 5.10 |
3:15 કલાક |
·
સોમવારે
રાતે રથયાત્રામાં સામેલ તમામ 1,143 સેવકના કોવિડ-19 ટેસ્ટ કરાયા. તેમાંથી એક પોઝિટિવ આવ્યો, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો.
·
યાત્રા શરૂ
થતા પહેલા અને યાત્રા દરમિયાન સમગ્ર માર્ગને ફાયર સર્વિસના જવાનો સેનિટાઈઝ કરે છે.
ત્રણ ગાડી લગભગ યાત્રાનો રસ્તો સ્વચ્છ કરતી રહે છે.
·
પુરી
મંદિરમાં ભગવાનની સેવામાં વ્યસ્ત લોકોને સેવાદાર કહે છે. તેમની સંખ્યા 36 છે. દરેક સેવાદારની નિમણૂક કરાય છે. 36 સેવાદારની નિમણૂકને ‘છત્તીસા નિયોગ’ કહે છે.
·
મંદિરની
સેવામાં 2000થી વધુ લોકો હોય છે. સેવક સમુદાયની વસતી 11થી 12 હજાર છે.