આઈસોલેશન વોર્ડમાં રહેવાને કારણે કનિકા કપૂર પરિવાર તથા બાળકોને ઘણાં જ યાદ કરતી હતી
લખનઉ : કનિકા કપૂરે
કોરોનાવાઈરસ સામેની જંગ જીતી લીધો છે. કનિકા કપૂરનો સતત બેવાર કોરોનાવાઈરસનો ટેસ્ટ
નેગેટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જોકે, ડોક્ટર્સે
તેને સાવધાની રાખવાનું કહ્યું છે અને ઘરમાં 14 દિવસ સુધી
ક્વૉરન્ટીન રહેવાનું કહ્યું છે. કનિકા કપૂરનો
રવિવારે (પાંચ એપ્રિલ) થયેલો કોરોનાવાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. કનિકાનો આ
છઠ્ઠીવખત ટેસ્ટ કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે કનિકા લખનઉની સંજય ગાંધી પોસ્ટ
ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGIMS)માં સારવાર
લીધી હતી. કનિકાનો ચોથી એપ્રિલ (શનિવાર)એ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ પહેલાં ચાર
વખત તેના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતાં.
આઈસોલેશનમાં
પરિવારને મિસ કરતી હતી
ઘણાં દિવસો હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રહેવાને કારણે કનિકા કપૂર પરિવાર તથા
બાળકોને ઘણાં જ યાદ કરતી હતી. તે પરિવાર તથા બાળકો સાથે વીડિયો કોલ દ્વારા વાત
કરતી હતી.
પિતાએ કહ્યું હતું, દીકરીની
તબિયત સારી
આ પહેલાં 29 માર્ચે કનિકાના પિતા રાજીવ કપૂરે કહ્યું હતું, મારી દીકરી
સારી છે. છેલ્લાં થોડાં દિવસથી કનિકાની તબિયતને લઈ જે ન્યૂઝ આવી રહ્યાં છે તેમાં
કોઈ સત્ય નથી. હાલમાં તેને કોઈ મુશ્કેલી નથી. હું ફોન તથા વીડિયો કોલથી તેના
સંપર્કમાં છું. તેની તબિયતમાં સુધારો છે. નોંધનીય છે કે કનિકા કપૂર 20 માર્ચથી
લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં
દાખલ છે. કનિકા 9 માર્ચે લંડનથી ભારત પરત ફરી હતી ત્યારબાદ તે કાનપુર અને લખનઉ ફરી હતી અને આ દરમિયાન
તેને તાવ તથા ખાંસી હતાં. કનિકા પર આરોપ છે કે તેણે બેજવાબદારીથી વિવિધ સોશિયલ
ઈવેન્ટ્સ અટેન્ડ કરીને લોકોનો જીવ જોખમમાં મૂક્યા હતા. આ બદલ તેની વિરુદ્ધ પોલીસ
ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે, તેના
સંપર્કમાં આવેલ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અગાઉ કનિકાની સારવાર કરતાં
ડોક્ટર્સનું કહેવું હતું કે કનિકાનું વર્તન એક દર્દી જેવું નહીં પણ એક સેલેબ્રિટી
જેવું છે.
મુશ્કેલીઓ ઓછી નથી
ભલે કનિકાએ કોરોના સામેનો જંગ જીતી લીધો હોય પરંતુ તેની મુશ્કેલીઓ ઓછી થઈ નથી.
કનિકા બોલિવૂડની પહેલી સેલિબ્રિટી હતી, જે કોરોનાવાઈરસનો
ભોગ બની હતી. કનિકા વિરુદ્ધ લખનઉના સરોજની નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા હેઠળ
188, 269 તથા 270 હેઠળ કેસ
કરવામાં આવ્યો છે. કનિકા પર કાયદાનું પાલન ના કરવાનું તથા બેજવાબદારીભર્યું વર્તન
કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કનિકા વિરુદ્ધ ત્રણ એફઆઈઆર કરવામાં આવી છે.