બે રાજ્ય તેલંગાણા અને તમિલનાડુએ કહ્યું- ટ્રેનો ના ચલાવવામાં આવે
નવી દિલ્હી: વડાપ્રધાન
નરેન્દ્ર મોદી આજે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પાંચમી વખત વીડિયો
કોન્ફરન્સિંગ કરી હતી. દરમિયાન લોકડાઉન અને સ્થળાંતરીત શ્રમિકોના મુદ્દે પણ ચર્ચા
થઈ છે. તેલંગાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને
પશ્ચિમ બંગાળે લોકડાઉન વધારવાની હિમાયત કરી છે.તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી
અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું છે કે અત્યારે યાત્રી ટ્રેનો
ચલાવવી જોઈએ નહીં. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે લોકડાઉન લંબાવવાની તરફેણ કરી
હતી. તેમણે કહ્યું કે લોકડાઉનમાંથી બહાર આવવાની રણનીતિ તૈયાર કરવા રાજ્યોને સમય
આપવો જોઈએ.
મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને શું કહ્યું?
·
છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલાએ કહ્યું કેે રાજ્યોમાં આર્થિક
ગતિવિધિ શરૂ કરવાના નિર્ણય રાજ્યોને સોંપવો જોઈએ. રાજ્યો જ નક્કી કરે કે રેડ,ગ્રીન અને ઓરેન્જ ઝોન કયાં કયાં છે. તેમણે કહ્યું કે મનરેગા
હેઠળ 200 દિવસની મજૂરી આપવામાં આવે. બઘેલાએ કહ્યું ટ્રેન, ઉડ્ડયન સેવા, બસ સેવા
રાજ્યોની સરકારો સાથે ચર્ચા કરીને જ શરૂ કરવામાં આવે.
·
પશ્ચિમ
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ
કહ્યું હતું કે કેન્દ્રએ રાજ્ય સાથે રાજનીતિ કરવી જોઈએ નહીં.કેન્દ્રએ સંઘીય
માળખાનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે એક રાજ્ય તરીકે વાઈરસનો સામનો કરવા
માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ. કેન્દ્રએ આ મહત્વપૂર્ણ સમયમાં રાજનીતિ કરવી જોઈએ
નહીં. અમે આંતરરાષ્ટ્રીય સીમાઓ અને અન્ય મોટા રાજ્યોથી ઘેરાયેલા છીએ. માટે
કોરોનાનો સામનો કરવામાં પડકાર છે. તમામ રાજ્યોને સમાન મહત્વ મળવું જોઈએ અને આપણે
ટીમ ઈન્ડિયાની માફક સાથે મળીને કામ કરવું જોઈએ. બીજી બાજુ તમિલનાડુએ 31 મે સુધી હવાઈ સેવા શરૂ નહીં કરવાની માંગ કરી છે.
·
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે- પ્રધાનમંત્રીએ
લોકડાઉનને લગતા નિશ્ચિત અને નક્કર નિર્દેશો આપવા જોઈએ. મુંબઈમાં આવશ્યક સેવાઓ માટે
લોકલ ટ્રેન સેવા શરૂ કરવા મંજૂરી આપવી જોઈએ.
·
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું- લોકડાઉન વધારવું
જોઈએ- પણ તે માટે ખાસ રણનીતિ બનાવવી જોઈએ અને રાજ્યોને આર્થિક શક્તિ આપવી જોઈએ
જેથી લોકોનું જીવન અને રોજગારી બચી શકે. રાજ્યોને લોકડાઉનથી બહાર આવવા માટે રણનીતિ
તૈયાર કરવાની તક આપવી જોઈએ.
·
તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું- અમે જાણી છીએ કે
ચેન્નાઈ-દિલ્હી વચ્ચે 12 મેથી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. ચેન્નાઈમાં પોઝિટિવ કેસ
વધી રહ્યા છે. આ સંજોગોમાં 31 મે સુધી અહીં ટ્રેન ન ચલાવવી
જોઈએ. આ સાથે જ 31 મે સુધી ઉડ્ડયન સેવા પણ ન શરૂ કરવી જોઈએ.
મોદીએ કહ્યું- લોકો તેમના ઘરે જવા માંગે છે, તે માનવીય પ્રકૃત્તિ છે
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે લોકોને
કહેતા હતા કે તેઓ જ્યાં પણ છે ત્યાં જ રહો. પણ લોકો તેમના ઘરે જવા ઈચ્છે છે, તે માનવીય પ્રકૃત્તિ છે. તેને લીધે
અમારે અમારા નિર્ણયો બદલવા પડે છે. પણ તેમ છતાં અમારે ધ્યાન રાખવાનું છે કે
સંક્રમણ ન ફેલાય અને તે ગામડાઓ સુધી ન પહોંચે.પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને કહ્યું
કે આ આપણો સૌથી મોટો પડકાર છે.
ગૃહ મંત્રી શાહે આરોગ્ય સેતુ એપના ઉપયોગ પર ભાર આપ્યો
બેઠક દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રીઓ સાથે
ચર્ચા કરી અને તેમણે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા પર ભાર આપ્યો છે. તેમણે કહ્યું
કે આ એપને ડાઉનલોડ વધારવા મુખ્યમંત્રીઓએ પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે તેનાથી સંક્રમિતોની ઓળખ કરી શકાય છે.
કેજરીવાલે કરી છૂટની માંગણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ
કેજરીવાલ પહેલાં જ લોકડાઉનમાં રાહતની માંગણી કરી ચૂક્યા છે. કેજરીવાલે કહ્યું છે
કે, લોકડાઉને આર્થિક સ્થિતિ બગાડી દીધી છે. આ સંજોગોમાં
દિલ્હીને ખોલવું જરૂરી. તેમનું કહેવું છે કે, આ સંજોગોમાં
દિલ્હીમાં કેસ વધશે તો પણ અમે તેને ટક્કર આપવા તૈયાર છીએ. કેજરીવાલ પહેલાં જ કહી
ચૂક્યા છે કે, આપણે કોરોના સાથે જીવતા શીખવું જ પડશે.
કેન્દ્રએ કહ્યું હતું- રાજ્ય આર્થિક પ્રવૃત્તિઓ પર ભાર આપે
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે રાજ્યોના ચીફ સેક્રેટરી
(મુખ્ય સચિવ) અને હેલ્થ સેક્રેટરી (સ્વાસ્થય સચિવ) સાથે વાત કરી હતી. ગૌબાએ કહ્યું
કે, રાજ્ય સરકારોએ હવે આર્થિક ગતિવિધિઓ ચાલુ કરવા વિશે વિચારવું
જોઈએ. સરકાર મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. દરેક રાજ્યો તેમાં
વધુને વધુ સહયોગ કરે અને વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા લોકોને પરત
ફરવામાં મદદ કરે.
ઘણાં રાજ્યોએ રેડ, ઓરેન્જ અને
ગ્રીન ઝોન વિશે સવાલ ઉભા કર્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે
કેબિનેટ સેક્રેટરીની સાથે ચર્ચામાં ઘણાં રાજ્યોએ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બનાવવામાં આવેલા નિયમો સામે સવાલ
ઉભા કર્યા છે. જ્યારે ઘણાં રાજ્યોએ મજૂરોની વતન વાપસી સામે સવાલ ઉભા કર્યા છે. આ
રાજ્યોનું કહેવું છે કે, મજૂરોની વતન વાપસીના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. આ
સંજોગોમાં જે વિસ્તારો ગ્રીન ઝોનમાં છે તે થોડા જ સમયમાં રેડ ઝોનમાં આવી જશે.
ત્રણ વાર વધારવામાં આવ્યું છે લોકડાઉન
·
વડાપ્રધાન
મોદીએ સૌ પહેલા 25 માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી. પહેલું લોકડઉન 21 દિવસનું આપવામાં આવ્યું હતું. તે 14 એપ્રિલે પુરૂ થવાનું હતું. પરંતુ ત્યારપછી લોકડાઉન 19 દિવસનું વધારી દેવામાં આવ્યું. 3 મેના રોજ ખતમ થતાં લોકડાઉનને ફરી 14 દિવસ માટે વધારી દેવામાં આવ્યું. જે હવે 17 મેના રોજ ખતમ થવાનું છે.
·
સોમવારે
મોદી 51 દિવસમાં પાંચમી વખત વીડયો કોન્ફરન્સ કરવાના છે. આ પહેલાં
તેમની મુખ્યમંત્રીઓ સાથે ચાર વખત વીડિયો કોન્ફરન્સ થઈ ચૂકી છે. તેમણે 20 માર્ચ, 2,11 અને 27 એપ્રિલે પણ વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી
હતી.