ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને લાભ થશે. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા નિર્ણયથી ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. નિકાસ પ્રતિબંધ હટી જતા આગામી દિવસોમાં ડુંગળીના ભાવ વધુ ઊંચકાય તેવી સંભાવના છે. હાલ ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિમણ રૂપિયા 200-250ને બદલે 400થી 450 રૂપિયા ભાવ બોલાયા છે.
આગામી દિવસોમાં ડુંગળીની આવક વધશે
ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક વધી છે. સફેદ ડુંગળીની આવક 12,856 કટા જોવા મળી છે. હરાજીમાં સફેદ ડુંગળીનો ભાવ રૂ. 201થી 286 બોલાયા હતા. જ્યારે લાલ ડુંગળીના 10 હજાર કટાની આવક થઈ છે. લાલ ડુંગળીના હરાજીમાં ભાવ રૂપિયા રૂ. 81થી 436 સુધીના જોવા મળ્યા છે. નિકાસ બંધી હતી ત્યારે લાલ ડુંગળીના ભાવ 271 સુધીના બોલાતા હતા. નિકાસ બંધી હટાવતા જ ભાવમાં આશરે રૂ. 140 રૂપિયા જેવો વધારો જોવા મળ્યો છે.
ભાજપના નેતાઓની કેન્દ્ર સરકારને કરેલી રજૂઆત રંગ લાવી
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે, ખેડૂતો માટે આજે આનંદનો દિવસ છે. જે ડુંગળી પ્રતિમણે રૂપિયા 200થી 250ના ભાવે વેચાતી હતી. આજે બજાર રૂપિયા 400થી 450 રૂપિયા પ્રતિમણે પહોંચ્યું છે. આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધવાની સંભાવના છે. ભાજપના નેતાઓએ કેન્દ્ર સરકારને કરેલી રજૂઆત રંગ લાવી છે.
ખેડૂતોનાં હિતમાં નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશી
ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનાં હિતમાં નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપી
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવી છે. જેથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને લાભ થશે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બાંગ્લાદેશમાં 50 હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મનસુખ માંડવિયાની હાજરીમાં મળેલી મનિસ્ટર્ઝ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.