દરેકને ડિસઈન્ફેક્ટ કરાશે, શો શરૂ થયાના દોઢ કલાક પહેલા પહોંચવું પડશે
રાજકોટ: મલ્ટિપ્લેક્સ સિનેમા જૂન મહિનાના અંતમાં શરૂ થવાની સંભાવના છે. હવે બુકિંગથી લઈને બેઠક વ્યવસ્થામાં પરિવર્તન આવશે.મલ્ટિપ્લેક્સ સિનેમા ખૂલવાની મંજૂરી મળ્યા બાદ ઓનલાઈન બુકિંગ પર ભાર મૂકવામાં આવશે અને કર્ફ્યૂ છે ત્યાં સુધી નાઈટ શો નહીં થાય. તેમજ એન્ટ્રી આપતા પહેલા દરેકને ડિસઈન્ફેક્ટ કરવામાં આવશે. આમા સમય વધુ લાગવાની સંભાવના છે તેથી દરેકે શો શરૂ થાય તેના એક કલાક પહેલા પહોંચવું પડી શકે. તેમ ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશનના ઉપપ્રમુખ અજયભાઈ બગડાઈએ જણાવ્યું છે.
ફેમિલિ-કપલને બ્લોકમાં સીટ ફાળવી શકાશે
વધુ માહિતી આપતા તેઓએ કહ્યું હતું કે, કોરોનાથી બચવા માટે તકેદારી
રાખવી એક માત્ર વિકલ્પ છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે મલ્ટિપ્લેક્સમાં શો
શરૂ થાય તે પહેલા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા અને સેનિટાઈઝ કરવા માટે એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવશે. ફિલ્મ
જોવા આવનાર તમામ માટે હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્ક ફરજિયાત બનશે.જે કોઈ હેન્ડ ગ્લોવ્ઝ
કે માસ્ક સાથે નહીં આવે તેને પૂરા પાડવામાં આવશે. થિયેટરમાં એક ચેર છોડીને એકને
બેસાડવાની વ્યવસ્થા હાલ પુરતી નક્કી કરવામાં આવી છે. મલ્ટિપ્લેક્સમાં
બ્લોકની વ્યવસ્થા હોવાથી જો કોઇ ફેમિલી કે કપલ હશે તો તેઓને સંખ્યા મુજબ બ્લોકમાં
સીટ ફાળવી શકાશે. મલ્ટિપ્લેક્સ સિનેમા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટેના સૂચનો
એસોસિએશને સરકારને રજૂ કર્યા છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જળવાઈ અને શો
સિસ્ટમ કેવી રહેશે તે અંગેના સરકારને સ્કેચ દોરીને સૂચનો રજૂ કર્યા છે. જો કે હજુ
સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન આવી નથી. જે આવ્યા બાદ આગળ નિર્ણય લેવામાં આવશે.
ઉનાળાના વેકેશનમાં મલ્ટિપ્લેક્સને તાળાં
રાજકોટના ઈતિહાસમાં સિનેમા અને મલ્ટિપ્લેક્સ આટલા સમય બંધ રહ્યા
હોય તેવું પહેલીવાર બની રહ્યું છે. હાલ ઉનાળુ વેકેશનનો સમય ચાલી રહ્યો છે. સામાન્ય
રીતે આ દિવસોમાં દરેક શો હાઉસફુલ હોય છે.તેના બદલે લોકડાઉનને કારણે સિનેમા અને
મલ્ટિપ્લેક્સ ખુલ્યા નથી. રાજકોટમાં સિનેમા અને
મલ્ટિપ્લેક્સ ખૂલે તેની રાહ જોઇને ફિલ્મ રસિકો બેઠા છેે. ફેનિલ મહેતા જણાવે છે કે, તે દરેક ફિલ્મ
મલ્ટિપ્લેક્સમાં જ જુએ છે, પણ લોકડાઉનને કારણે
છેલ્લા બે મહિનાથી મલ્ટિપ્લેક્સની મુલાકાત નથી લઇ શક્યો. લોકડાઉન ખુલ્યા બાદ નવું
ફિલ્મ તે મલ્ટિપ્લેક્સમાં જોવા માટે પહોંચી જશે. જો કે મલ્ટિપ્લેક્સ અને સિનેમા
બંધ રહેવાને કારણે સંચાલકોને મોટું નુકસાન ગયું હોવાનું તેઓ કહી રહ્યા છે.