• Home
  • News
  • પોતાની સાથે ગેમ થયાનું કહેનારા જગન્નાથ મંદિરના મહંતે ગૃહમંત્રી સાથેની બેઠક બાદ ફેરવી તોળ્યું, કહ્યું- સરકારે તો બહુ મહેનત કરી
post

અમારી જોડે રમત થઈ ગઈ છે. મેં ભરોસો રાખ્યો હતો એ ખોટો પડ્યો એવું મહંતે નિવેદન કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 08:56:26

અમદાવાદ: રથયાત્રા ન યોજાતા  ગઈકાલે નારાજ થયેલા મહંત દિલિપદાસજી આજે ગૃહરાજ્યમંત્રી સાથેની બેઠક બાદ ફેરવી તોળ્યું હતું. મહંત દિલિપદાસજીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે સરકારે તો બહુ મહેનત કરી હતી. સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી.

અચાનક પ્રદીપસિંહ જગન્નાથ મંદિર દોડી ગયા
ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા કાઢવાની પરવાનગી હાઇકોર્ટએ ન આપતાં રથયાત્રા મંદિર પરિસરમાં યોજાઈ હતી. રથયાત્રા ન યોજાતાં મંદિરના મહંત દિલિપદાસજી મહારાજ નારાજ થયા હતા અને અમારી જોડે રમત થઈ ગઈ છે. મેં ભરોસો રાખ્યો હતો એ ખોટો પડ્યો તેવું કહ્યું હતું. જેના પગલે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને મહંત દિલિપદાસજી સાથે બેઠક કરી હતી. બેઠકમાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ હાજર હતા.

સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નહીં
મહંત દિલિપદાસજીએ ગૃહરાજ્યમંત્રી સાથેની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પુરીની યાત્રાને મંજૂરી આપી હતી. સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાં રથયાત્રા નીકળે તે માટે એફિડેવિટ કરી હતી પરંતુ હાઇકોર્ટે મોડી રાતે મંજૂરી આપી ન હતી. આ ચુકાદો વહેલો મળ્યો હોત તો સુપ્રીમમાં જાત. રાજ્ય સરકારે સંપૂર્ણ મદદ કરી છે. મારી સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી. સરકારે ખૂબ મહેનત કરી હતી.

ગઈકાલે મંદિરના મહંતને મળવાનું શક્ય ન બન્યું: ગૃહ રાજ્યમંત્રી
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુરુવારે અમદાવાદ જગન્નાથ મંદિર પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે રથયાત્રાના બીજા દિવસે જગન્નાથ મંદિરના મહંતને મળવા આવવાનું થતું હોય છે. ગઈકાલે મળવાનું શક્ય બન્યું ન હતું આથી આજે મળવા આવ્યો છું.  મહંત દિલિપદાસજી મહારાજે આજે એમના વિચારો મીડિયા સમક્ષ જાહેર કર્યા છે જેથી હવે રથયાત્રા બાબતે કોઈ પ્રશ્ન રહેતો નથી.

મેં જેના પર ભરોસો રાખ્યો હતો તે મારો ભરોસો ખોટો પડ્યોઃ દિલિપદાસજી
રથયાત્રા ન નિકળવા બાબતે દિલિપદાસજીએ ભારે હૈયે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે, અમારી સાથે બહુ મોટી ગેમ થઈ ગઈ છે. હું તમને શબ્દોમાં કહી શકું તેમ નથી. પણ મેં જેના પર ભરોસો રાખ્યો હતો તે મારો ભરોસો ખોટો પડ્યો. તમે જે કહો.. જે રીતે કહો... પણ અમારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રાની સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી ત્યાં સુધી મહંત દિલિપદાસજીને એવું જ હતું કે રથને મંદિરના ગેટ સુધી લઈ જવાશે અને તેમણે તે મુજબ ખલાસીઓને ઈશારો પણ કર્યો હતો. પરંતુ પોલીસે રથને દરવાજા સુધી લઈ જવા ન દેતા દિલિપદાસજી તે સમયે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને અંદર ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં કોઈની સાથે ટેલિફોન પર વાત કરાવી હતી એવું મંદિરના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

સરકારને રથયાત્રા કાઢવી જ હતી તો હાઈકોર્ટમાં અમને સાથે કેમ ન રાખ્યાઃ ટ્રસ્ટી
ગઈકાલે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પણ કહ્યું હતું કે, સરકારે અમારી સાથે મોટી રમત કરી છે. સરકારે કોઈ પણ તબક્કે અમને વિશ્વાસમાં લીધા ન હતા. આગલા દિવસે હાઈકોર્ટમાં સરકારને રથયાત્રા માટે અરજી કરવી જ હતી તો છેક મોડી સાંજ સુધી રાહ કેમ ન જોઈ. બપોરે જ અરજી કરી દીધી હોત તો સાંજ સુધીમાં નિવેડો આવી ગયો હોત. પરંતુ આ વખતે રથયાત્રા નિકળી ન શકી તે વાતનો અમને ખૂબ અફસોસ છે અને ખૂબ દુઃખ પણ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post