• Home
  • News
  • જાપાનની યુનિચાર્મે સાણંદ પ્લાન્ટમાં આગથી થયેલા નુકસાનની તપાસ શરુ કરી, આગ કાબુ કરતાં 24 કલાકથી વધુ સમય લાગ્યો
post

ફાયર બ્રિગેડનો બીજી શિફ્ટનો સ્ટાફ 8 ગાડીઓ સાથે સાણંદ યુનિચાર્મની આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 08:59:30

અમદાવાદ: જાપાનની યુનિચાર્મ કંપનીના સાણંદ પ્લાન્ટમાં બુધવારે સવારે લાગેલી આગ અંગે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં અમે આગ લાગવાના કારણો તપાસી રહ્યા છીએ. સાથે જ કંપની આ આગના કારણે કેટલું નુકસાન થયું છે તે અંગે પણ અલગથી તપાસ કરી રહી છે. આ ઘટનામાં કંપનીના કોઈ કર્મચારીની જાન હાની થઇ નથી. યુનિચાર્મમાં આગ લાગી તે સમયે લગભગ 300 જેટલા કર્મચારીઓ હાજર હતા. બુધવારે સવારે સાણંદ GIDCમાં જાપાનની યુનિચાર્મ ઇન્ડિયા નામની ડાયપર બનાવતી સૌથી મોટી જાપાની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબુ કરવામાં 24 કલાકથી પણ વધારેનો સમય લાગ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર બ્રિગેડનો બીજી શિફ્ટના સ્ટાફે 8 ગાડીઓ સાથે સાણંદ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી છે. 

કંપનીએ પ્લાન્ટમાં રૂ. 2000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે
કંપનીના જણાવ્યા મુજબ અમદાવાદ નજીક સાણંદ GIDC ખાતે આ પ્લાન્ટ સપ્ટેમ્બર 2018માં શરુ કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ ભારતમાં કંપનીનો સૌથી મોટું ઉત્પાદન એકમ છે અને આમાં કંપનીએ રૂ. 2000 કરોડથી વધુનું રોકાણ કરેલું છે. અહી પર્સનલ કેર પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે જેમાં ડાયપર મુખ્ય છે.

કંપનીની ફાયર સેફ્ટી સામે સવાલ
યુનિચાર્મ કંપનીમાં આગ લાગ્યા બાદ તેમાં ફાયરસેફ્ટી પૂર્ણ રીતે કામ કરતી હતી કે કેમ તે મુદ્દે અને અનેક પ્રશ્નો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા તો ઉપયોગમાં કેમ ન આવ્યા અને આ કંપનીમાં ફાયર એનઓસી મળી હતી અને તે પણ છેલ્લે ક્યારે થઈ હતી તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી

અમિત શાહે હસ્તક્ષેપ કરવો પડ્યો
ગઈકાલે બપોરે પણ આગ પર ફાયરબ્રિગેડ કાબૂ મેળવી ન શકતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ગૃહમંત્રી શાહે ટ્વીટ કરીને બપોરે માહિતી આપી હતી કે, આ આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડને તમામ પગલાં લેવા તાકીદ કરાઈ છે અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને સત્વરે રવાના કરાઈ છે. આ આગમાં યુનિચાર્મની ફેક્ટરી તો સંપૂર્ણપણે ખાક થઈ ગઈ છે પરંતુ આજુબાજુની ફેક્ટરીઓ સુધી પણ આગ ફેલાઈ ચૂકી છે.

દેશના ડાયપર માર્કેટમાં 40 ટકા હિસ્સો
જાપાનની ભારતીય સબસિડીયરી યુનિચાર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દેશમાં છેલ્લા 15 વર્ષથી સક્રિય છે અને ભારતના અંદાજીત રૂ.6000 કરોડના ડાયપર માર્કેટમાં તેનો આશરે 35-40% જેટલો હિસ્સો છે. જ્યારે મોડર્ન ટ્રેડમાં તેની હિસ્સેદારી 40%થી વધુ છે. વર્ષ 2018માં કંપનીની રેવન્યૂ વૈશ્વિક સ્તરે રૂ. 51,000 કરોડથી વધારે હતી. સાણંદ પ્લાન્ટ કંપનીનો સૌથી મોટું ઉત્પાદન એકમ છે અને કંપની અહીંથી અન્ય દેશોમાં નિકાસ પણ કરે છે.

વિશ્વના 80 દેશમાં કંપનીની હાજરી
યુનિચાર્મે અગાઉ આપેલી માહિતી મુજબ, તેનું માર્કેટિંગ નેટવર્ક વિશ્વના 80 જેટલા દેશોમાં ફેલાયેલું છે.આ ઉપરાંત ભારત સહિત 17 દેશોમાં તે બાળકો માટેના ડાયપર અને મહિલાઓ માટે સેનિટાઈઝર પેડ બનાવે છે. કંપનીના જણાવ્યા મુજબ 2020 સુધીમાં તેના ગ્લોબલ બિઝનેસમાં ભારતનો શેર 10% સુધી પહોંચાડવાનો ટાર્ગેટ હતો.

NDRFની ટીમ પહોંચી, 35 ફાયર ફાઈટર સહિત 250 લાશ્કરો કાર્યરત
ગઈકાલે ગૃહમંત્રીની સૂચના મળતાં જ NDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. કલેક્ટર કચેરી તરફથી મળેલી માહિતી અનુસાર, NDRF ઉપરાંત ફાયરબ્રિગેડના 35 ફાયર ફાઈટર (બંબા) ઉપરાંત 250થી વધુ લાશ્કરો યુનિચાર્મ તથા આજુબાજુની ફેક્ટરીઓમાં લાગેલી આગને ઓલવવા માટે સતત પ્રયત્ન કર્યા હતા.   

ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, કંપની 80 એકરમાં ફેલાયેલી છેઃ જિલ્લા કલેક્ટર
જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલાએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીધી સૂચનાને પગલે NDRFની ટુકડી મોકલવામાં આવી છે.NDRFની ટીમ બચાવ રાહત કામમાં જોડાઈ છે. ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અગ્નિશમન માટે 36 થી વધુ ફાયર ફાઇટર વાહન અને 270થી વધુ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળ પર રાહત કામગીરીમાં જોડાયા છે. ડાયપરનું ઉત્પાદન કરતી આ કંપની 80 એકરમાં ફેલાયેલી છે જ્યાં 35 એકરમાં ઉત્પાદનની કામગીરી થાય છે.

ગઈકાલે લાગેલી આગમાં 2 કિ.મી. દૂરથી ધૂમાડા દેખાતા હતા
ગઈકાલે સવારે શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી.  યુનિચાર્મ કંપનીમાં આગ લાગતા અમદાવાદ આસપાસથી 20 ફાયર ફાઇટર મોકલાયા હતા.  આગના ધુમાડા 2 કિમિ દૂર સુધી દેખાતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post