લૂંટ થતી જોનારા પર લુટારુએ દુકાનમાંથી બહાર આવી ફાયરિંગ કર્યું
શહેરમાં કાયદો અને
વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે હવે ગુજરાતમાં બિહારવાળી શરૂ થઈ છે. અમદાવાદમાં 2021ની શરૂઆત પોલીસ માટે
પડકારરૂપ બની છે. પૂર્વમાં છેલ્લા 24 કલાકમાં બીજી જ્યારે 96 કલાકમાં ફાયરિંગ કરીને
લૂંટ અને હત્યાની 3 ઘટના બની છે. વધુ એક ઘટનામાં રવિવારે રાત્રે નિકોલની
એક જ્વેલર્સ શોપમાં ઘૂસી આવેલા 4 લુટારુએ 4 રાઉન્ડ ગોળીબાર કરી રૂ.6.70 લાખના દાગીના-રોકડની
લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
નિકોલ ઉમિયા સર્કલ પાસે
આવેલા વિરલ જ્વેલર્સના માલિક પ્રકાશ મોદી રવિવારે રાતે દુકાનમાં હતા ત્યારે 4 લુટારુ હાથમાં બંદૂકો
સાથે દુકાનમાં ઘૂસી આવી તેમને બંદૂકની અણીએ ડરાવી માર મારીને રોકડા રૂ.2.60 લાખ અને રૂ.3-4 લાખના સોના-ચાંદીના
દાગીના લૂંટી લીધા હતા. માલિકે પ્રતિકાર કરતાં લુટારુઓએ બંદૂક અને પાણીના જગ વડે
માર માર્યો હતો. અન્ય એક વ્યક્તિ પણ આવતા એક લુટારુ દુકાનની બહાર નીકળી તેની સામે
પણ ફાયરિંગ કર્યું હતું. આ અંગે એસીપી એન.એલ.દેસાઈ એ જણાવ્યું હતું કે, લુટારુઓ દુકાનમાંથી રૂ.2.60 લાખ રોકડા અને રૂ.3-4 લાખના દાગીના લઈ ગયા
હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં લૂંટનો ચોક્કસ આંકડો તો વેપારી સ્ટોકની ગણતરી
કરીને કહેશે.
બાઈક પર આવેલા ચારેયે લૂંટ ચલાવ્યા
પછી બહાર આવી ભાગવા માટે હવામાં ગોળીબાર કર્યો
પ્રકાશ
મોદીની દુકાનમાં લૂંટ ચલાવીને ભાગી રહેલા લુટારુઓએ દુકાનની બહાર આવતાની સાથે જ
હવામાં ગોળીબાર કર્યા હતા. જો કે તેઓ ગોળીબાર કરીને ભાગ્યા હોવાના દૃશ્યો
સીસીટીવીમાં કેદ થયા હતા. જેમાં ચારેય લુટારુઓ 2 બાઈક ઉપર આવ્યા હોવાનું સ્પષ્ટ
દેખાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
2 જાન્યુઆરીએ ઠક્કરબાપા
નગર પાસે જમીન પર ધડાધડ 3 રાઉન્ડ ફાયરિંગ કરી
વેપારીને લૂંટ્યો
2 જાન્યુઆરીએ શહેરના ઠક્કરબાપાનગર પાસે ધોળાદિવસે
પાનમસાલાના વેપારીને ધમકાવી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી 3 અજાણ્યા બુકાનીધારીઓ રૂ.
35
હજારની
લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની
શોધખોળ હાથ ધરી હતી. ધોળેદહાડે ભરચક વિસ્તારમાં વેપારીને લૂંટી લેવાની ઘટનાએ ભારે
ચર્ચા જગાવી છે. ઠક્કરબાપાનગર પાસે આવેલી ગાયત્રી ટ્રેડર્સ દુકાને પાન મસાલાના
વેપારીને હથિયાર બતાવીને ત્રણ અજાણ્યા શખશો 35 હજારની લૂંટ કરી ફરાર થઈ
ગયા હતાં. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હિંદીમાં વાત કરી કે, તેરે પાસ જીતના ભી માલ
હે વો સબ દે દે કહીને જમીન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
વસ્ત્રાલમાં ગોળી મારી 1ની હત્યા
વસ્ત્રાલના રાધે મોલમાં સિક્યોરિટી એજન્સી ધરાવતા જશવંતસિંહ
રાજપૂત 31મી ડિસેમ્બરના ગુરુવારે
રાતે મોલની સિક્યોરિટીની ઓફિસમાં હાજર હતા. ત્યારે ત્યાં આવેલા 2 માણસો આડેધડ 6 રાઉન્ડ ગોળીબાર કરી
જશવંતસિંહ રાજપૂતે મોતને ઘાટ ઉતારી દીધા હતા. પૈસાની લેતી દેતીમાં જશવંતસિંહની
હત્યા થઇ હોવાની માહિતીના આધારે રામોલ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. .