શહેરની વરવી વાસ્તવિકતા એ છે કે, શહેરના 122 તળાવ કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનના નામે બનાવી દેવામાં આવ્યા છે
5.26 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા છારોડી તળાવના લોકાર્પણને માંડ 8 મહિના થયા છે ત્યાં જ તળાવમાં પાણી સૂકાઈ ગયું છે. વસ્ત્રાપુર તળાવ જેવી સ્થિતિ આ તળાવની થઈ ગઈ છે. લોકાર્પણ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચનાથી અહીં બોટિંગની પણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જો કે, બોટ ન હોવાથી રિવરફ્રન્ટમાં મૂકવામાં આવેલી એક્વા સાઈકલ અહીં શરૂ કરાઈ હતી. પરંતુ હવે પાણી સૂકાઈ ગયું હોવાથી એક્વા સાઈકલ કાઢી લેવામાં આવી છે. લોકાર્પણ સમયે તળાવ ભરેલું બતાવવા માટે નર્મદામાંથી 35 કરોડ લિટર પાણી અહીં ઠાલવવામાં આવ્યું હતું.
શહેરની વરવી વાસ્તવિકતા એ છે કે, શહેરના 122 તળાવ કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનના નામે બનાવી દેવામાં આવ્યા છે. પરંતુ એક પણ તળાવમાં આજે પાણી નથી. ખુદ અધિકારીઓ પણ જાણે છે કે, રેતાળ જમીન હોવાના કારણે એક પણ તળાવમાં પાણી રહેતું નથી. છતાં પણ બ્યુટીફિકેશનના નામે કરોડો ખર્ચી નાખવામાં આવે છે અને સંખ્યાબંધ તળાવમાં ગટરના પાણી ઠલવાય છે.
એક્વા સાઈકલ પણ કાઢી લેવાઈ
લોકાર્પણ સમયે તળાવ નર્મદાના પાણી ભરી દેવાયું હતું. હાલમાં અહીં પાણી સૂકાઈ ગયું હોવાથી એક્વા સાઈકલ પણ કાઢી લેવાઈ છે.